Day 4 of lockdown: અમદાવાદમાં કોરોનાના કારણે બીજુ મોત, કેરળમાં પ્રથમ મોત
Updated: Mar 28th, 2020
અમદાવાદ, તા.28 માર્ચ 2020, શનિવાર
કોરોના વાઇરસને પગલે લાગેલા લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. કોરોના વાઇરસના કારણે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર અમદાવાદથી આવ્યાં છે. અહીં 46 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ મોતનો આંક ચાર થયો છે.
કોરોના વાઇરસના કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં 2, સુરત અને ભાવનગરમાં એક-એક દર્દીનું મોત થયું છે. SVPમાં છેલ્લા શ્વાસ લેનારી મહિલાએ કોઈ વિદેશ પ્રવાસ ન કર્યો હોવાથી સ્થાનિકમાં ચેપ લાગ્યો હોવાની આશંકા છે. મહિલા સાથે રહેતા અને આસપાસના લોકોને પણ તાત્કાલિક ધોરણે કોરન્ટાઈન કરાયા છે.
વિશ્વભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6 લાખે પહોંચી
વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 6 લાખે પહોંચી ગઈ છે. ત્રણ લાખથી વધારે કેસ એકલા યુરોપમાં છે. વિશ્વભરમાં મૃત્યાઆંક 27,365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અમેરિકાની અંદર કોરોના વાઈરસના 1 લાખ 4 હજાર 205 કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 1700થી વધી ગયા છે. અમેરિકાએ કોરોના કેસમાં ચીન, ઈટલી અને સ્પેનને પાછળ છોડી દીધા છે. ઈટાલીમાં 86498 કેસ નોંધાયા છે. અહી મૃત્યુઆંક 9134 થયો છે. અમેરિકામાં દર મિનિટે લગભગ 13 કોરોનાના નવા દર્દી સામે આવી રહ્યા છે.
સાવધાન! કોરોનાની રિકવરીમાં ગુજરાતની સ્થિતિ નિરાશાજનક
ભારતમાં બે દિવસમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ગુજરાત રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તેવી સ્થિતિ વચ્ચે બહાર આવતી એક હકીકત અનુસાર કોરોના પ્રભાવિત દર્દીઓની રિકવરીમાં અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાઈરસથી સૌથી વધુ મોત મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થયા છે. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ લોકો સામાજિક અંતર જાળવવાની બાબતનું વધારે ધ્યાન નહીં રાખે તો આગામી દિવસોમાં વધુ ભોગવવાનો વારો આવી શકે છે. Read More
કોરોનાથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત હવે મહારાષ્ટ્ર સાથે સંયુક્ત ટોચના સ્થાને, શનિવાર સાંજ સુધીમાં મહારાષ્ટ્ર-ગુજરાતમાં 4-4નાં મોત
વૈશ્વિક મહામારી કોરોના હવે ભારતમાં પણ કાળ બનીને કેર વર્તાવી રહી છે. શનિવાર સાંજ સુધીમાં કોરોનાથી જે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત સંયુક્ત રીતે મોખરે છે. ગુજરાતમાં શનિવારે સાંજ સુધી કોરોનાના 55 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી ચારના મૃત્યુ થયા છે જ્યારે હજુ ૫૧ વ્યક્તિ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ 19 માર્ચે નોંધાયો હતો. Read More
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 53 થયા, આજે નવા 6 નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે અને મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. જ્યારે હજુ 2 દર્દીના રીપોર્ટ આવવાના બાકી છે. Read More
કેરળમાં પ્રથમ મોત, ભારતમાં મૃત્યુઆંક 20એ પહોંચ્યો
ભારતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે કેરળમાં પણ એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. કેરળની એર્નાકુલમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા 69 વર્ષીય વ્યક્તિનું શનિવારે અવસાન થયું છે. રાજ્યમાં આ ચેપી રોગને કારણે મૃત્યુ પામવાનો આ પહેલો કેસ છે. Read More
વડોદરામાં કોરોના પોઝિટિવનો નવમો કેસ નોંધાયો
વડોદરામાં એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના શંકાસ્પદ મહિલા દર્દીનું આજે મોત થયું હતું. આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલમાં દાખલ નડિયાદના વિપુલ પટેલને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. તે સાથે વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક નવ થયો છે. Read More