India

જુલાઇમાં પણ ઓછો વરસાદ પડશે પાણીની અછત ઉભી થવાની ભીતિ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: હવામાન વિભાગે જુલાઈમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આગાહી કરી છે, જે ખેડૂતોની ચિંતા વધારશે. ઝારખંડમાં વીજળી પડવાથી 7 લોકોના મોત થયા છે, જેમાં મહિલા અને બાળકીનો સમાવેશ થાય છે. આસામમાં હજુ પણ પૂરની સ્થિતિ યથાવત છે. ગુજરાત સહિતના રાજ્યોમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું સક્રિય થશે, પણ કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં રાહત નહીં મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુલાઇમાં પણ ઓછો વરસાદ પડશે પાણીની અછત ઉભી થવાની ભીતિ
  • કેટલાક રાજ્યોમાં વરસાદની જૂન જેવી સ્થિતિનું અનુમાન
  • સપ્તાહમાં મોટાભાગના રાજ્યોમાં વરસાદની શરૂઆત ઓછો વરસાદ હશે ત્યાં તાપમાનમાં કોઇ રાહત નહીં
  • ઝારખંડમાં વીજળી પડવાથી મહિલા, બાળકી સહિત સાત લોકોના મોત, આસામમાં હજુ પણ પૂરની સ્થિતિ

નવી દિલ્હી : જૂન મહિનામાં બહુ જ ઓછો વરસાદ પડયો છે, દુષ્કાળના ભણકારા વચ્ચે હવે જુલાઇ મહિનાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જુલાઇ મહિનામાં વરસાદ સામાન્ય કરતા ઓછો પડવાની ભીતિ છે. હવામાન વિભાગે કહ્યું છે કે જુલાઇ મહિનામાં લોંગ રેન્જ પીરિયડ સરેરાશ ૯૪ ટકાથી ઓછો વરસાદ થઇ શકે છે. જૂન મહિનામાં આશરે ૪૦ ટકા વરસાદની ઘટ જોવા મળી હતી જોકે જુલાઇ મહિનામાં આટલી મોટી ઘટ નહીં જોવા મળે તેવુ અનુમાન છે. સામાન્ય રીતે જુલાઇમાં ચોમાસાનો સૌથી વધુ વરસાદ નોંધાતો હોય છે પરંતુ આ સીઝનમાં એવુ નહીં થાય જેને પગલે પાણીની અછતની ભીતિ પણ છે.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું હતું કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના વિવિધ હિસ્સાઓમાં આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસુ વધુ આગળ વધી શકે છે. આ જ સમયગાળા દરમિયાન સમગ્ર દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના અન્ય કેટલાક હિસ્સામાં પણ ચોમાસુ ફરી વળશે. જોકે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં જુલાઇ મહિનામાં પણ જૂન જેવી હાલત જોવા મળી શકે છે. બિહાર, મધ્ય પ્રદેશ, દિલ્હી, વગેરે કેટલાક રાજ્યોના અમુક હિસ્સાઓમાં જુલાઇમાં પણ પુરતો વરસાદ નહીં પડે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતાઓ નથી.
સામાન્ય રીતે જુલાઇ મહિનામાં જ સરેરાશ સૌથી વધુ વરસાદ પડતો હોય છે, જોકે આ ચોમાસામાં જુલાઇમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતાઓએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જે વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતાઓ છે ત્યાં વોટરની અછત ઉભી થઇ શકે છે. બીજી તરફ ઝારખંડમાં વીજળી પડવાથી બે મહિલાઓ સહિત સાત લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં એક આઠ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. રાંચીમાં એક ખેડૂત જમીન ખેડી રહ્યો હતો ત્યારે વીજળી પડતા મોત થયું હતું. બોકારોમાં એક ૧૯ વર્ષીય યુવક એક વૃક્ષ નીચે શરણ લઇ રહ્યો હતો ત્યારે તેના પર વીજળી પડી હતી. કેટલાક પશુઓ ચરાવતા તો કેટલાક અન્ય કોઇ કામ દરમિયાન વીજળી પડવાથી મોતને ભેટયા હતા. જ્યારે આસામમાં હજુ પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, અનેક ગામડામાં લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.