Get The App

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું 1 - image

Chardham Yatra 2026: ચારધામ યાત્રાએ જનારા ભક્તો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે શ્રદ્ધાળુઓને સુગમ અને સુરક્ષિત મુસાફરીની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA)એ કેદારનાથ ધામ માટે હેલી શટલ સેવાની પસંદગી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

08 હેલિકોપ્ટર ઓપરેટરોની પસંદગી

પારદર્શક ટેન્ડર પ્રક્રિયા દ્વારા કુલ 08 હેલિકોપ્ટર ઓપરેટરોની પસંદગી કરવામાં આવી છે, જેમને વિવિધ હેલીપેડ કેન્દ્રો પર તૈનાત કરવામાં આવશે. ગુપ્તકાશીથી બે, ફાટાથી ચાર અને સિરસીથી બે ઓપરેટરોને સેવા સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એકતરફી ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે.

નક્કી કરવામાં આવેલ ભાડાના દર

-ગુપ્તકાશી થી કેદારનાથ:  6,077

-ફાટા થી કેદારનાથ: 4,840

-સિરસી થી કેદારનાથ: 3,043

-આ દરો પર વસ્તુ અને સેવા કર (GST) વધારાનો લાગુ થશે. સાથે જ, આ ભાડું માત્ર એક તરફની મુસાફરી માટે છે.

હેલી યાત્રા પોર્ટલ દ્વારા ઓનલાઇન ટિકિટ નોંધણી થઈ શકશે

હેલી સેવા માટેની ટિકિટ બુકિંગ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ના અધિકૃત હેલી યાત્રા પોર્ટલ દ્વારા ઓનલાઇન કરી શકાશે. બુકિંગ દરમિયાન સુવિધા શુલ્ક (Convenience fee) અલગથી લેવામાં આવશે. યાત્રા દરમિયાન સુરક્ષા અને સંચાલનના તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ મળી શકે. આ પહેલ ચારધામ યાત્રાને વધુ વ્યવસ્થિત, સમયબદ્ધ અને સુવિધાજનક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ચાર ધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થશે

ચાર ધામ યાત્રા માટે ગત 6 માર્ચ, 2026થી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં 25 માર્ચ સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નોંધનીય છે કે, ચાર ધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થવાની છે. શ્રદ્ધાળુઓ સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in અથવા ‘Tourist Care Uttarakhand’ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી શકશે.

આ પણ વાંચો: Meta, TikTok અને Google સામે ઓસ્ટ્રેલિયાએ કમરકસી, જાણો કેમ સખત થઈ રહી છે તપાસ

અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની સલાહ 

રાહતની વાત એ છે કે, હજુ સુધી રજિસ્ટ્રેશન માટે કોઈ છેલ્લી તારીખ જાહેર કરાઈ નથી. કેદારનાથ અને બદ્રીનાથ દ્વાર ખુલતા પહેલા અથવા યાત્રા દરમિયાન, સ્લોટ ઉપલબ્ધ થવા સુધી રજિસ્ટ્રેશન થઈ શકે છે. જોકે, અપેક્ષિત ભારે ભીડને ધ્યાનમાં રાખીને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની સલાહ આપવામાં આવી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર 19 એપ્રિલે ખુલવાના છે. ત્યારબાદ કેદારનાથના દ્વાર 22 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દ્વાર 23 એપ્રિલે ખુલશે.