| (AI IMAGE) |
Bihar Darbhanga SC-ST Act Case: બિહારના દરભંગા જિલ્લાના એક ગામમાં અજીબોગરીબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હરિનગર ગામમાં જમીન અને પૈસાની લેણદેણના વિવાદમાં એક વ્યક્તિએ ગામના આખા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અશર્ફી પાસવાન નામની વ્યક્તિએ અંદાજે 70 બ્રાહ્મણ સામે નામજોગ અને 150 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. એટલે કે એક જ ઝાટકે આખા ગામના બ્રાહ્મણો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
10 વર્ષ જૂનો વિવાદ અને હિંસક અથડામણ
આ ઘટનાની વિગતો મુજબ અશરફી પાસવાને પોલીસ ફરિયાદ કરી છે કે, આ મૂળ વિવાદ 2015માં શરૂ થયો હતો. મારા ભાઈ કૈલાશ પાસવાને એક મકાન બાંધકામના બાકી નીકળતા રૂ. 2.5 લાખ હેમંત ઝાને ચૂકવવાના થતા હતા. આ બાકી રકમની માંગણીને લઈને 31 જાન્યુઆરીની રાત્રે અથડામણ થઈ હતી, જેમાં મહિલાઓ અને એક છોકરીને ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટના બાદ અશર્ફી પાસવાને 70 બ્રાહ્મણ સામે નામજોગ અને 150 અજાણ્યા લોકો વિરુદ્ધ એસસી-એસટી (SC-ST) એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો સાથે કેસ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે આખા ગામના લોકોએ એકઠા થઈને અમારા પર હુમલો કર્યો છે અને અમારું સતત શોષણ પણ કર્યું છે.
આ પણ વાંચો: 4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો
ગામમાં હાજર ન હોય તેવા લોકો પર પણ કેસ
આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે બ્રાહ્મણોના નામ એફઆઈઆરમાં છે, તેમાંથી અનેક લોકો ગામમાં છે જ નહીં. તેઓ દેશના અલગ-અલગ શહેરોમાં મજૂરી કે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, 31 જાન્યુઆરીએ થયેલી મારામારીમાં 10થી વધુને ઈજા થઈ હતી. આ ઘટનામાં પોલીસે 12 લોકોની અટકાયત કરી પૂછપરછ કરી છે. હાલ ગામમાં ભારે તણાવની સ્થિતિ છે, જેને જોતા સુરક્ષા પણ વધારાઈ છે. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરી છે.


