Get The App

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં?

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? 1 - image

 IANS


Anil Ambani questioned by CBI: રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ગુરુવારે દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) સમક્ષ હાજર થયા હતા. હવે બંધ થઈ ગયેલી કંપની 'રિલાયન્સ કોમ્યુનિકેશન્સ' (RCOM) અંગેના કથિત બેંક ફ્રોડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બે દિવસ સુધી ચાલશે મેરેથોન પૂછપરછ

66 વર્ષીય અનિલ અંબાણી ગુરુવારે સવારે CBIના હેડક્વાર્ટરમાં પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, 19 અને 20 માર્ચ એમ સતત બે દિવસ સુધી તેમની પૂછપરછ કરવામાં આવશે. SBI અને અન્ય બેંકોના કન્સોર્ટિયમ દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશન્સને આપવામાં આવેલી લોનના ભંડોળનો કથિત દુરુપયોગ અને ડાયવર્ઝન આ તપાસના કેન્દ્રમાં છે.

આ પણ વાંચો : 5 વર્લ્ડ ક્લાસ બેટર્સ જે IPL માં સૌથી વધુ રન કરવા છતાં ઓરેન્જ કેપ ન જીતી શક્યા

શું છે સમગ્ર મામલો?

CBI તપાસ કરી રહી છે કે, જે ફંડ બિઝનેસ ઓપરેશન્સ માટે આપવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ અન્યત્ર કરવામાં આવ્યો છે કે કેમ? રિલાયન્સ કોમ્યુનિકેશન્સે મોટી લોન ડિફોલ્ટ કર્યા બાદ SBIએ નાણાકીય અનિયમિતતાઓ અંગે ફરિયાદ નોંધાવી હતી. તપાસ એજન્સી કંપનીના આંતરિક એપ્રુવલ્સ, નાણાકીય વ્યવહારો અને ફંડ્સના અંતિમ ઉપયોગની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

અનિલ અંબાણીના પ્રવક્તાનું નિવેદન

અનિલ અંબાણીના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, "અનિલ અંબાણી 19 અને 20 માર્ચ, 2026 ના રોજ CBI સમક્ષ હાજર રહેશે. તેઓ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે." 

પુત્ર અનમોલ અંબાણીની પણ થઈ હતી પૂછપરછ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીની પણ અન્ય એક બેંક ફ્રોડ કેસમાં CBI દ્વારા 6 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે મુંબઈમાં અનિલ અંબાણીનું 17 માળનું લક્ઝરી એપાર્ટમેન્ટ પણ જપ્ત કર્યું હતું. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ એક સમયે ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની હતી, પરંતુ સતત વધતા દેવાને કારણે તે નાદાર જાહેર થઈ હતી, જેના કારણે બેંકોને હજારો કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.