આખરે કેમ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરે છે? જાણો શું છે કારણ

Canada Student Visa Rejection : કેનેડામાં શિક્ષણ મેળવવા અને વસવાટ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ વધુ કપરી બની રહી છે. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં વિઝા રિજેક્શનના દરમાં ઘણો મોટો વધારો જોવા મળ્યો છે. એક ચોંકાવનારા ખુલાસા મુજબ, ઓટાવા (કેનેડા) સરકાર ભારત અને બાંગ્લાદેશમાંથી આવતી વિઝા અરજીઓ વિશે શંકા ધરાવે છે, જેના કારણે તે સામૂહિક રીતે વિઝા રદ કરવાની સત્તા મેળવવાની તૈયારી કરી રહી છે.
નકલી સ્ટુડન્ટ/વિઝિટર વિઝાની ઓળખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ
આંતરિક સરકારી દસ્તાવેજો મુજબ, કેનેડાની રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC), કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) અને કેટલીક અમેરિકન એજન્સીઓએ ભારત અને બાંગ્લાદેશમાંથી આવતા નકલી વિઝિટર અને સ્ટુડન્ટ વિઝા આવેદનોની ઓળખ કરીને તેને રદ કરવા એક વર્કિંગ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપનો હેતુ ભારત અને બાંગ્લાદેશથી આવતા નકલી વિઝિટર અને સ્ટુડન્ટ વિઝા આવેદનોની ઓળખ અને તેમને રદ કરવા. દસ્તાવેજોમાં આ બંને દેશોને દેશ-વિશિષ્ટ પડકારો ગણાવ્યા છે, કારણ કે અહીંથી આવતા વિઝા કેસમાં છેતરપિંડી કે નિયમોના ઉલ્લંઘનનો દર વધુ જોવા મળ્યો છે.
વિઝા પ્રોસેસિંગ ધીમી પડી, રિજેક્શન વધ્યું
રિપોર્ટ પ્રમાણે, ભારતમાંથી આવતા ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા (TRV) અને સ્ટુડન્ટ વિઝા આવેદનોની તપાસ ઘણી સખત બની છે. 2023માં સરેરાશ 30 દિવસમાં પતતી અરજીઓનો સમય 2024માં વધીને 54 દિવસ થયો છે. મંજૂરી દરમાં પણ ઘટાડો થયો છે. જાન્યુઆરી 2024માં 63,000 વિઝા મંજૂર થયા હતા, જે જૂન સુધીમાં ઘટીને 48,000 થઈ ગયા. આ સખ્તાઈને લીધે વિદ્યાર્થીઓ અને કામદારોની અરજીઓ મુખ્યત્વે અપૂરતા દસ્તાવેજો, અસ્પષ્ટ હેતુ કે નાણાકીય ક્ષમતા પર શંકાના કારણે નકારાઈ રહી છે.
કેનેડામાં શરણ (Asylum) માટેની અરજીઓમાં 4 ગણો ઉછાળો
મે 2023માં ભારતીય નાગરિકોના કેનેડામાં શરણ (Asylum) લેવાના આવેદનો દર મહિને 500 હતા, જે જુલાઈ 2024 સુધીમાં વધીને દર મહિને લગભગ 2,000 થઈ ગયા છે. આ દર્શાવે છે કે મોટી સંખ્યામાં લોકો કેનેડામાં પ્રવેશ્યા પછી રિફ્યુજી સ્ટેટસ માંગી રહ્યા છે. સરકાર માને છે કે ઘણા લોકો સ્ટુડન્ટ કે ટૂરિસ્ટ વિઝાનો દુરુપયોગ કરીને કાયમી વસવાટ કરવા પ્રયાસ કરે છે. 2024માં નો બોર્ડ (No Board - એટલે કે એરલાઈન દ્વારા રોકાયેલા મુસાફરો) કેસોમાં પણ વધારો થયો છે, જેમાં જુલાઈ સુધીમાં 1,800થી વધુ મુસાફરોને પૂછપરછ માટે ચિહ્નિત કરીને કાયદાકીય પ્રક્રિયાની જાણકારી અપાઈ હતી.
Bill C-12: ‘સામૂહિક વિઝા રદ્દીકરણ’ની તૈયારી
આ સંજોગોમાં કેનેડા સરકારે સંસદમાં Bill C-12 રજૂ કર્યું છે, જે સરકારને રાષ્ટ્રીય સુરક્ષા, મહામારી કે છેતરપિંડીની સ્થિતિમાં કોઈપણ દેશ કે સમૂહના વિઝા ધારકોના સામૂહિક વિઝા રદ કરવાની સત્તા આપશે. જોકે, આ પગલાનો કેનેડામાં વિરોધ થઈ રહ્યો છે. 300 થી વધુ સંગઠનો અને વકીલોએ ચેતવણી આપી છે કે આ કાયદો સરકારને સામૂહિક દેશનિકાલ મશીન જેવી સત્તા આપી શકે છે અને નિર્દોષ અરજદારો સાથે અન્યાય થઈ શકે છે.
આ પણ વાંચો: ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી છતાં ઐતિહાસિક જીત
'અમે કોઈ દેશ વિરુદ્ધ નથી': ઇમિગ્રેશન વિભાગે આપ્યો ખુલાસો
કેનેડાના ઇમિગ્રેશન વિભાગનું કહેવું છે કે આ પગલાં કોઈ વિશેષ દેશની વિરુદ્ધ નથી. સરકારે જણાવ્યું કે, 'અમારું લક્ષ્ય બિન-વાસ્તવિક અરજદારોને રોકવાનો, સરહદો પરનું દબાણ ઘટાડવાનો અને માહિતી આપવાનું છે.'
વિભાગના જણાવ્યા અનુસાર, આ કડક પગલાં બાદ 2024ની સરખામણીમાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનારા લોકોમાં 97% ઘટાડો આવ્યો છે. તેમજ શરણાર્થી સ્ટેટસની અરજીઓમાં 71% ઘટાડો નોંધાયો છે અને વિઝા છેતરપિંડીના કારણે નકારી કાઢવામાં આવેલી અરજીઓમાં 25% વધારો નોંધાયો છે.
ભારત-કેનેડા સંબંધો પર અસર
આ પગલું ત્યારે લેવાયું છે જ્યારે ભારત અને કેનેડા સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2023માં જસ્ટિન ટ્રુડોએ શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની સંભવિત ભૂમિકાનો આરોપ લગાવ્યા બાદ સંબંધો વણસ્યા હતા, જે આરોપ ભારતે નકારી દીધો હતો. ત્યારબાદ, 2024માં PM મોદીએ G7 શિખર સંમેલન દરમિયાન કેનેડાનો પ્રવાસ કર્યો અને રાજદ્વારી સ્તરે સંવાદ ફરી શરૂ કરવાની જાહેરાત થઈ. જોકે, ઇમિગ્રેશન નીતિ પર તણાવ હજી યથાવત છે અને IRCCએ તેની નવી સત્તાઓનો સંબંધો પરના પ્રભાવ અંગેના સવાલો ટાળી દીધા છે.

