Russian President Vladimir Putin On India US Ties: રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિને ગુરુવારે (4 જૂન 2026) ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધોથી નવી દિલ્હી અને રશિયાના સંબંધોને નુકસાન પહોંચતું નથી. તેમણે કહ્યું કે ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને વર્તમાનમાં તેનો પ્રભાવશાળી ઇકોનોમિક ગ્રોથ રેટ (આર્થિક વિકાસ દર) છે. તેમણે કહ્યું, 'મને પૂરો વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં રશિયા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 100 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી જશે.'
ભારત આવા પ્રયાસોનો પ્રતિકાર કરશે: પુતિન
રાષ્ટ્ર પ્રમુખ પુતિને કહ્યું કે, 'જો કે અમેરિકા મોસ્કો સાથે ભારતના સંબંધોને લઈને ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આવા પ્રયાસોની કોઈ અસર થતી નથી. તેમણે કહ્યું, 'અમેરિકા, રશિયા સાથેના સહયોગ સહિત ઘણા મુદ્દાઓ પર ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારત આવા પ્રયાસોનો પ્રતિકાર કરશે.'
અમેરિકા હવે પ્રતિબંધોની છૂટને સમાપ્ત કરવા માંગે ઈચ્છે છે
રશિયન રાષ્ટ્ર પ્રમુખે વધુમાં ઉમેર્યું કે, 'ભારતનો વિકાસ દર ઘણો પ્રભાવશાળી છે. ભારતના અન્ય કોઈપણ દેશ સાથેના દ્વિપક્ષીય સંબંધોને રશિયા નકારાત્મક પરિણામ તરીકે જોતું નથી.' પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ મંગળવારે (2 જૂન 2026) કહ્યું કે તે રશિયન તેલ ખરીદનારા દેશોને આપવામાં આવેલી પ્રતિબંધોની છૂટને સમાપ્ત કરવા માંગે છે.
અમેરિકન પ્રતિબંધોમાંથી મળેલી છૂટથી ભારતને મોટો ફાયદો
અમેરિકાએ દલીલ કરી હતી કે ઈરાન યુદ્ધના પગલે વૈશ્વિક પુરવઠો સુચારુ જાળવી રાખવા માટે આ પગલાં મર્યાદિત સમય માટે હતા. સેનેટની વિદેશ નીતિ સમિતિ સમક્ષ વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે રશિયન છૂટ અંગેનો અંતિમ નિર્ણય નાણા વિભાગ દ્વારા લેવામાં આવશે. અમેરિકાએ માર્ચમાં રશિયન ક્રૂડની ખરીદી પર લાગેલા પ્રતિબંધોમાંથી છૂટ આપી હતી અને તેને બે વાર લંબાવી હતી. છેલ્લી વખત આ છૂટ 17 મેના રોજ એક મહિના માટે આપવામાં આવી હતી. ભારત એવા દેશોમાંનું એક છે જેને રશિયન ક્રૂડની ખરીદી પર અમેરિકન પ્રતિબંધોમાંથી મળેલી છૂટથી ફાયદો થયો છે.


