US Attack on Venezuela: વેનેઝુએલામાં અમેરિકન સૈન્ય કાર્યવાહીએ વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. રાજધાની કારાકાસ પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરીને તેમને ન્યૂયોર્ક લાવવામાં આવ્યા છે. અમેરિકાએ આ ઓપરેશનને 'ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' (Operation Absolute Resolve) નામ આપ્યું છે. અમેરિકન પ્રમુખે આ મામલે પુષ્ટી કરતાં કહ્યું છે કે, 'હવે વેનેઝુએલામાં સત્તા પરિવર્તન સુધી અમેરિકા દેશનું નિયંત્રણ સંભાળશે.' વેનેઝુએલા પર અમેરિકાના હુમલાના સમાચાર સતત હેડલાઈન્સમાં છે. આ વચ્ચે હવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દુનિયાને અલ્ટીમેટમ આપ્યું છે.
માર્કો રુબિયોનું કહેવું છે કે વેનેઝુએલા સામે કરવામાં આવેલી કાર્યવાહી વિશ્વના તમામ દેશોની સરકારો અને નેતાઓ માટે એક મેસેજ છે કે જે કોઈ પણ અમેરિકાના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કામ કરશે તેની પણ આ જ હાલત થશે.
માર્કો રુબિયોનું નિવેદન
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલાની જાહેરાત કર્યા બાદ રુબિયોએ મીડિયાને કહ્યું કે, 'માદુરો વેનેઝુએલા માટે યોગ્ય પ્રમુખ નહોતા, અને આ માત્ર અમે એકલા જ નથી કહી રહ્યા. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળથી લઈને બાઈડેન અને ફરી પાછા ટ્રમ્પના કાર્યકાળ સહીત યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશો માદુરોને વેનેઝુએલા માટે યોગ્ય પ્રમુખ નહોતા માનતા.'
રુબિયોએ જણાવ્યું કે, 2020માં માદુરો પર સંયુક્ત રાજ્ય અમેરિકામાં આરોપ મૂકવામાં આવ્યો અને તેના પર 50 મિલિયન ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું. માદુરોનો ઘણી તકો મળી, પરંતુ તેણે આ જ રસ્તો પસંદ કર્યો.
વેનેઝુએલા પર કેમ કરવામાં આવી કાર્યવાહી
માર્કો રુબિયોએ આગળ કહ્યું કે, 'માદુરોને લાગ્યું કે તેઓ અમેરિકા સાથે ખેલ ખેલતા રહેશે અને અમે કંઈ નહીં કરીશું. માદુરોએ ઈરાનને વેનેઝુએલામાં આવવાનું આમંત્રણ આપ્યું. અમેરિકન તેલ જપ્ત કરી લીધું. અમેરિકામાં ગેંગના લોકોને ભરી દીધા અને અમેરિકન વેપારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો.'
આ પણ વાંચો: વેનેઝુએલા પર હુમલાની સાથે જ દુનિયા બે ભાગમાં વહેંચાઈ, જાણો કોણે કેવી પ્રતિક્રિયા આપી
પ્રમુખ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા અમેરિકન વિદેશ સચિવે કહ્યું કે, 'અમેરિકાના 47મા પ્રમુખ કોઈ ખેલાડી નથી. જ્યારે તેમણે કહી દીધું કે, હું કંઈક કરીશ તો, તે ચોક્કસ કરશે.'
હુમલામાં 40ના મોતનો દાવો
આ અમેરિકન એરસ્ટ્રાઈકમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે. એક અહેવાલ પ્રમાણે વેનેઝુએલા સરકારના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે. કારાકાસમાં થયેલા અમેરિકાના હુમલામાં નાગરિકો અને સૈનિકો સહિત ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે.


