હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલા મામલે ટ્રમ્પ ભડક્યા, ઈરાનને આપી કડક ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US President Donald Trump Warns Iran : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને એક મોટું અને આકરું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર થયેલા કથિત ડ્રોન હુમલા અંગે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું કે, ભારતીય જહાજો પર આ પ્રકારના હુમલા બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તેમણે ઈરાનને વહેલી તકે પોતાની હરકતો સુધારી લેવા માટે પણ ચેતવણી આપી છે.
ઈરાન સાથે સમજૂતી કે વાતચીત કરવી મુશ્કેલ : ટ્રમ્પ
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઈરાની નેતૃત્વને અત્યંત બેજવાબદાર અને અવિશ્વસનીય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ઈરાન સાથે સદભાવનાના આધારે કોઈ સમજૂતી કે વાતચીત કરવી ખૂબ જ મુશ્કેલ છે. ઈરાન દ્વારા મીડિયામાં લીક કરવામાં આવેલી શરતો અને બંને દેશો વચ્ચે લેખિતમાં સહમત થયેલી શરતો જુદી જુદી છે. જોકે, હાલમાં કોઈ ભારતીય જહાજ પર સીધા હુમલાની માહિતી નથી, પરંતુ તાજેતરમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હોય તેવા ત્રણ જહાજો પર હુમલા ચોક્કસ થયા હતા.

અમેરિકાએ ભારતીય જહાજો પર હુમલો કર્યો : ઈરાનનો દાવો
બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ ભારતીય ક્રૂ ધરાવતા કોમર્શિયલ જહાજો પર અમેરિકી હુમલાની આકરી ટીકા કરી છે. તેમણે આ પ્રકારની સૈન્ય કાર્યવાહીને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો ગણાવી છે. આ સાથે જ બકાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જીવ ગુમાવનારા ભારતીય નાવિકોના પરિવારો અને ભારત સરકાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
અમેરિકા દ્વારા 72 કલાકમાં ત્રણ જહાજો પર હુમલા
હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં છેલ્લા 72 કલાકમાં અમેરિકાએ ભારતીય ક્રૂ સભ્યો સવાર હોય તેવા ત્રણ જહાજોને નિશાન બનાવ્યા હતા. પહેલો હુમલો 8 જૂને ઓમાનના દક્ષિણ-પૂર્વીય તટ પર મેરીવેક્સ જહાજ પર મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારબાદ 9 અને 10 જૂનની વચ્ચે અમેરિકી નેવીએ MT Settebello નામના ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. આ જહાજના 24 ભારતીય સભ્યોમાંથી 21ને બચાવી લેવાયા હતા, જ્યારે ત્રણ ભારતીયોના મોત થયા છે. ત્યારબાદ 11 જૂને પણ MT Jalveer નામના જહાજને અમેરિકાએ નિશાન બનાવ્યું હતું, જેમાં પણ ભારતીય ક્રૂ સવાર હતા.
વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટનાઓનો શિકાર બનેલા ત્રણેય જહાજો વિદેશી ફ્લેગ ધરાવતા હતા અને તે ભારતની માલિકીના જહાજો નથી. આ સાથે જ તેમણે પુષ્ટિ કરી હતી કે સમુદ્રમાં આ હુમલા ત્યાં તૈનાત અમેરિકી નૌસેના દ્વારા જ કરવામાં આવ્યા છે.









