Nepal Violence : નેપાળમાં સરહદ પાસે આવેલા બિરગંજ શહેરમાં ધાર્મિક સ્થળ મામલે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થમારો થયો છે. શહેરમાં રવિવારે હિંસાત્મક ઘટનાઓ શરૂ થયા બાદ સ્થિતિ તંગ બની ગઈ છે, જેના કારણે વિસ્તારમાં ભારે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. વધુ ગંભીર સ્થિતિ બને તે પહેલા સરકારે સોમવાર સવારથી બિરગંજ મહાનગર વિસ્તારમાં અનિશ્ચિત સમય સુધી કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આખો વિસ્તાર સેનાને સોંપી દેવાયો છે.

બિરગંજમાં પોલીસ, સેના, APF તહેનાત
બિરગંજમાં હિંસક ઘટનાઓને અટકાવવા માટે નેપાળ પોલીસ ઉપરાંત સેના અને આર્મ્ડ પોલીસ ફોર્સ (APF)ને રસ્તાઓ પર ખડકી દેવાઈ છે. રવિવારે શહેરમાં ધાર્મિક સ્થળ પાસે વિવાદ થયો હતો, જેમાં હિંસા ભડકી ઉઠતા અડધો ડઝથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે સ્થિતિ થાળે પાડવા માટે વિવાદ કરી રહેલા લોકોને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં લોકોએ પથ્થમારો કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

બંને પક્ષોનો સામસામે પથ્થરમારો
પર્સાના ડીએસપી હરિબહાદુર બસ્નેતે કહ્યું કે, ‘બિરગંજ વોર્ડ-11નાં શ્રીપુરમાં એક ધાર્મિક સ્થળ પાસે વિવાદ શરૂ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રસ્તા પર ઉભેલા એક સ્થાનિક યુવક પર કેટલાક લોકોએ કારણવગર હુમલો કર્યો હતો, જેના કારણે સ્થિતિ વણસી ગઈ અને બંને પક્ષોએ સામસામે પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
સાંપ્રદાયિક તણાવ ઉભો કરવાનું ષડયંત્ર, સ્થાનિકોનો આક્ષેપ
પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. ઘટનાનો મુખ્ય આરોપી ‘નેપા મધેશ પ્રદેશ કમિટી’નો સભ્ય મોહમ્મદ નિજામ ફરાર થતાં પોલીસે તેના ત્યાં દરોડા પાડીને શોધખોળ શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય ચૂંટણીના સમયે સાંપ્રદાયિક તણાવ ઉભો કરવા માટે આ ષડયંત્ર રચીને ઘટના ઉભી કરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ કહ્યું કે, કર્ફ્યૂ સમયે કોઈપણ પ્રકારની સભા, સરઘસ, દેખાવો કે બેઠક યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈપણ વ્યક્તિ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના 'મોહમ્મદ દીપક'ને ગળે લગાવ્યા, કહ્યું- ‘આ જ સાચી ભારતીયતા’


