Get The App

તિરૂપતિ મંદિર લાડુ વિવાદ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- 'જરૂરી પુરાવા નથી'

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
Petition on Tirupati Laddu Controversy

Petition on Tirupati Laddu Controversy: તિરુપતિના વિશ્વપ્રસિદ્ધ તિરુમાલા મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં કથિત ભેળસેળના મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા SIT રિપોર્ટની તપાસ માટે એક સભ્યની સમિતિ રચવાના નિર્ણયને પડકાર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તપાસ અને ગુનાઇત કાર્યવાહી બંને અલગ-અલગ છે અને તે કાયદા મુજબ સાથે ચાલી શકે છે.

સુપ્રીમ કોર્ટે કેમ ફગાવી અરજી?

સુપ્રી કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે, આ અરજીમાં પૂરતા આધારનો અભાવ છે. કોર્ટના મતે, રાજ્ય સરકારની સમિતિની તપાસ અને પોલીસની ગુનાઇત તપાસનો વ્યાપ સ્પષ્ટપણે અલગ છે, તેથી બંને પ્રક્રિયા એકબીજામાં દખલ કરશે નહીં. આ આદેશ સાથે હવે આંધ્ર સરકારની તપાસ સમિતિ પોતાની કામગીરી ચાલુ રાખી શકશે, જે મંદિરના વહીવટમાં રહેલી ક્ષતિઓ તપાસશે.

SIT તપાસમાં ચોંકાવનારો ખુલાસો

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં અત્યંત ગંભીર વિગતો સામે આવી છે. તપાસ મુજબ, ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં જે વસ્તુને 'શુદ્ધ ઘી' કહીને વેચવામાં આવી હતી, તે હકીકતમાં કેમિકલ પ્રોસેસ કરેલું પામોલિન તેલ અને અન્ય પદાર્થોનું મિશ્રણ હતું. આ ભેળસેળ માત્ર ધાર્મિક આસ્થા સાથે છેડછાડ નથી, પરંતુ મોટા આર્થિક કૌભાંડ તરફ પણ ઈશારો કરે છે.

EDની એન્ટ્રી અને હવાલા શંકા

આ મામલે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સક્રિય થયું છે. ટીટીડી (TTD) ચેરમેન બી. આર. નાયડુના જણાવ્યા અનુસાર, અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન મંદિરમાં અંદાજે 60 લાખ કિલો ભેળસેળિયું ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે Rs. 250 કરોડ થાય છે. ED હવે તપાસ કરી રહી છે કે આટલી મોટી રકમનો વ્યવહાર કેવી રીતે થયો. એજન્સીને શંકા છે કે આ પૈસાના વ્યવહારમાં હવાલા નેટવર્કનો ઉપયોગ થયો હોઈ શકે છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના 'મોહમ્મદ દીપક'ને ગળે લગાવ્યા, કહ્યું- ‘આ જ સાચી ભારતીયતા’

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદ સપ્ટેમ્બર 2024માં ત્યારે શરૂ થયો જ્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જગન મોહન રેડ્ડીની સરકાર વખતે તિરુપતિના પવિત્ર લાડુ બનાવવામાં જાનવરોની ચરબીનો ઉપયોગ થયો હતો. આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હતી. આ સમગ્ર ઘટનામાં મંદિરની પવિત્રતા જાળવવાનું મહત્ત્વ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.

તિરૂપતિ મંદિર લાડુ વિવાદ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- 'જરૂરી પુરાવા નથી' 2 - image