US-Israel Iran War: હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચતા ભાવ વચ્ચે ઈરાને ભારતને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. રાયસીના સંવાદ દરમિયાન ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખાતીબઝાદેહે ભારતીય જહાજોને અટકાવવાના અહેવાલોને નકારી કાઢતા અમેરિકા સામે આકરા પ્રહારો કર્યા છે.
'અમે જવાબદાર શક્તિ છીએ, અમેરિકા વાસ્તવિક ખતરો'
નાયબ વિદેશ મંત્રી સઈદ ખાતીબઝાદેહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 'ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. ઈરાન એક જવાબદાર શક્તિ છે. જો અમે ક્યારેય આ માર્ગ બંધ કરીશું, તો તેની ઔપચારિક જાહેરાત કરીશું. હાલમાં અમે કોઈ જહાજ રોકી રહ્યા નથી. ભારતે ઈરાન પર સવાલ ઉઠાવવાને બદલે અમેરિકાને પૂછવું જોઈએ કે તે હિન્દ મહાસાગરમાં ઈરાની જહાજોને કેમ નિશાન બનાવી રહ્યું છે. તેમના મતે, પ્રદેશની સુરક્ષા માટે અમેરિકા જ વાસ્તવિક ખતરો છે.'
ભારત અને ઈરાનના સંબંધો પર સઈદ ખાતીબઝાદેહે જણાવ્યું કે, 'ભારત અને ઈરાન ચેસ માનસિકતા ધરાવે છે, જે ધીરજ અને ઊંડી વ્યૂહરચના પર આધારિત છે. 'અમેરિકન ફૂટબોલ માનસિકતા' ધરાવે છે, જેમાં માત્ર આક્રમકતા અને બળપ્રયોગને જ મહત્ત્વ આપવામાં આવે છે.'
આ પણ વાંચો: કતારનો એક નિર્ણય અને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં સર્જાયું ગંભીર સંકટ, ભારતને પણ અસર!
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ
વર્તમાન પરિસ્થિતિને 'સંપૂર્ણ યુદ્ધ' ગણાવતા તેમણે કહ્યું કે, 'તેહરાન હાલમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સતત હુમલાઓનો સામનો કરી રહ્યું છે. ઈરાની નાગરિકો પર કાર્પેટ-બોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને દેશ પાસે હવે 'છેલ્લી ગોળી અને છેલ્લા સૈનિક' સુધી લડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.'
ભારત માટે રશિયન ઓઇલની રાહત
એક તરફ ઈરાન સાથેનો આ તણાવ વધી રહ્યો છે, બીજી તરફ અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપી છે. આ છૂટછાટ વૈશ્વિક બજારમાં તેલની સપ્લાય ચેઇન જાળવી રાખવા માટે મહત્ત્વની માનવામાં આવે છે.


