Get The App

ઈરાનની ગર્લ્સ સ્કૂલ પર ઇઝરાયલ-અમેરિકાની એર સ્ટ્રાઈક, 50થી વધુ વિદ્યાર્થીઓના મોતની આશંકા

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનની ગર્લ્સ સ્કૂલ પર ઇઝરાયલ-અમેરિકાની એર સ્ટ્રાઈક, 50થી વધુ વિદ્યાર્થીઓના મોતની આશંકા 1 - image

US-Israel Iran Strike: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ હવે ચરમસીમાએ છે. આજે શનિવારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના વિવિધ શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. ઈરાનની સરકારી સમાચાર સંસ્થા 'IRNA' ના દાવા મુજબ, દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં આવેલી એક ગર્લ્સ સ્કૂલ હુમલાની ઝપેટમાં આવી ગઈ. જેમાં દાવા મુજબ 50થી વધુ વિદ્યાર્થિનીઓના મોત થયા છે. સુરક્ષાને ધ્યાને રાખી શાળા અને કોલેજોને બંધ કરવામાં આવી છે, સરકારી કચેરીઓ પણ અડધી ક્ષમતાથી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા પર થયેલા હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ વિદ્યાર્થિનીઓના મોતે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈઝરાયલની કાર્યવાહી પર સવાલ ઉભા થયા છે. 

અમે યુદ્ધ ઇચ્છતા ન હતા: ઈરાન

ઈરાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમેરિકા અને ઝાયોનિસ્ટ શાસન (ઈઝરાયેલ) દ્વારા ઈરાનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દુશ્મન દેશોએ ઈરાનના સંરક્ષણ મથકો, માળખાગત સુવિધાઓ અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું કે તેઓએ હંમેશા આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંવાદ દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો અને ઈરાની જનતા ક્યારેય યુદ્ધ ઈચ્છતી નહોતી, પરંતુ હવે દેશની રક્ષા માટે સૈન્ય કાર્યવાહી કરવી અનિવાર્ય બની ગઈ છે.

'ઈરાન વાતચીત માટે તૈયાર હતું, તેટલું જ યુદ્ધનો સામનો કરવા સક્ષમ'

નિવેદનમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે ઈરાન જેટલું વાતચીત માટે તૈયાર હતું, તેટલું જ તે યુદ્ધનો સામનો કરવા માટે પણ સક્ષમ છે. ઈરાનની સશસ્ત્ર સેનાઓ કોઈપણ હુમલાનો કડક અને નિર્ણાયક જવાબ આપવા માટે સજ્જ છે. ઈતિહાસને યાદ કરતાં ઈરાને કહ્યું કે, તેઓ ક્યારેય વિદેશી દબાણ સામે ઝૂક્યા નથી અને આ વખતે પણ વળતો પ્રહાર એવો હશે કે હુમલાખોરોએ પસ્તાવાનો વારો આવશે.

આ પણ વાંચો: અમેરિકા-ઈઝરાયલ-ઈરાન મહાયુદ્ધની તમામ લાઈવ અપડેટ્સ

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ વચ્ચે રશિયાએ તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવા અપીલ કરી છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, 'પરિસ્થિતિને રાજકીય અને રાજદ્વારી ઉકેલ તરફ લઈ જવી જોઈએ, આ હુમલા બેજવાબદાર છે, પ્રદેશને વધુ અસ્થિર કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘટનાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવું જોઈએ, પરસ્પર આદર અને હિતોના સંતુલનના આધારે શાંતિપૂર્ણ ઉકેલ માટે સહયોગ આપવા રશિયા તૈયાર છે'