Get The App

વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટોયલેટમાં છુપાયા!

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટોયલેટમાં છુપાયા! 1 - image

PM Modi In Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના પ્રવાસે છે, જ્યાં તેઓ 'સરદાર ધામ'નું લોકાર્પણ કરશે. આ પ્રસંગે હરણી ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, PMના આગમન પૂર્વે જ વડોદરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર આશિષ જોશીએ આરોપ લગાવ્યો છે કે, પાણીગેટ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓએ તેમના નિવાસસ્થાને અઘોષિત પહેરો ગોઠવી દીધો છે.

સવાલોથી બચવા પોલીસકર્મી ટોયલેટમાં ભરાયા!

આશિષ જોશીને શંકા જતાં તેમણે ઘરની બહાર સાદા ડ્રેસમાં ઊભેલા પોલીસકર્મીઓને સવાલો કરવાનું શરૂ કર્યું હતું. મીડિયાના કેમેરા સામે આવતા જ પોલીસકર્મીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એક પોલીસકર્મી તો સવાલોથી બચવા નજીકના મંદિરના ટોયલેટમાં ઘૂસી ગયો હતો. કોર્પોરેટરે વારંવાર બૂમો પાડી દરવાજો ખખડાવતા જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તેણે વિચિત્ર બહાનું કાઢ્યું હતું. પોલીસકર્મીએ દાવો કર્યો કે, "હું તો મહાદેવના દર્શન કરવા આવ્યો હતો અને ટોયલેટ લાગતા અંદર ગયો હતો."

બૂટ પહેર્યા વગર જ પોલીસકર્મીએ લગાવી દોડ

કોર્પોરેટરે પૂછ્યું હતું કે, "શું તમે રોજ અહીં દર્શન કરવા આવો છો? કયા અધિકારીના ઓર્ડરથી તમે અહીં આવ્યા છો?" આ સવાલોનો કોઈ સંતોષકારક જવાબ પોલીસ પાસે નહોતો. સ્થિતિ એવી સર્જાઈ કે અન્ય એક પોલીસકર્મી તો કોર્પોરેટરના સવાલોના જવાબ આપવાને બદલે પોતાના બૂટ પહેર્યા વગર જ રોડ પર દોડતા નજરે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ: PM મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે

હરણી બોટ દુર્ઘટનાના મુદ્દે સરકાર પર પ્રહાર

આ મામલે આશિષ જોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, "સરકાર હરણી લેક ઝોન પાસે રોડ શો કરી રહી છે, પરંતુ હરણી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર માસૂમ બાળકો અને શિક્ષિકાઓને હજુ સુધી ન્યાય કેમ મળ્યો નથી? તે મુદ્દે સરકાર મૌન છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને કેમ નજરકેદ રાખવામાં આવે છે કે તેમના પર સતત નજર રાખવામાં આવે છે?