Get The App

દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
દેવભૂમિ દ્વારકા: ગોમતીઘાટમાં સ્નાન કરતી વખતે રાજકોટના બે સગા ભાઈઓ ડૂબ્યા, એકનો બચાવ, બીજો લાપતા 1 - image

Devbhoomi Dwarka News: યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં પવિત્ર અધિક માસના પ્રારંભના પહેલા દિવસે જ કરુણ ઘટના બની છે. જગવિખ્યાત ગોમતી નદીના ઘાટ પર આજે (16મી મે) વહેલી સવારે સ્નાન કરતી વખતે રાજકોટના એક જ પરિવારના બે સગા ભાઈઓ અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ એક ભાઈને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે, જ્યારે બીજો ભાઈ નદીના તેજ પ્રવાહમાં લાપતા થઈ ગયો છે. આ દુર્ઘટનાને પગલે પવિત્ર તહેવારના માહોલ વચ્ચે સમગ્ર ઘાટ પર હાજર શ્રદ્ધાળુઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

ગોમતી સ્નાન વખતે બની દુર્ઘટના

મળતી માહિતી અનુસાર, આજથી પવિત્ર ગણાતા અધિક માસનો વિધિવત પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકામાં ગોમતી નદીના સ્નાનનું સવિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડ ગોમતીઘાટ પર ઉમટી પડી હતી. લોકો હરિનામ સ્મરણ સાથે પવિત્ર ડૂબકી લગાવી રહ્યા હતા, ત્યારે જ રાજકોટથી પરિવાર સાથે દર્શનાર્થે આવેલા બે યુવાન ભાઈઓ સ્નાન કરવા માટે પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન નદીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન આવતા બંને ભાઈઓ અચાનક પગ લપસવાથી ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા અને બચાવવા માટે મદદની બૂમો પાડવા લાગ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવાહી

સ્થાનિક તરવૈયાઓએ એક ભાઈનો જીવ બચાવ્યો

બંને યુવાનોને ડૂબતા જોઈને આસપાસ સ્નાન કરી રહેલા અન્ય યાત્રિકોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમો સાંભળતા જ ઘાટ પર હાજર સ્થાનિક તરવૈયાઓ અને નાવિકોએ સમયસૂચકતા વાપરી તુરંત જ નદીમાં ઝંપલાવ્યું હતું અને એક યુવાનને પાણીમાંથી જીવતો બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં બીજો 21 વર્ષીય યુવાન નદીના અંદરના વહેણમાં ખેંચાઈ જતાં ક્ષણભરમાં જ નજરની સામેથી ઓઝલ થઈ ગયો હતો.

તંત્ર દ્વારા મેગા રેસ્ક્યુ ઓપરેશન શરૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ કાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની રેસ્ક્યુ ટીમ તાબડતોબ ગોમતીઘાટ પર પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ અને આધુનિક સાધનોની મદદથી નદીના પટમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કલાકોની સઘન શોધખોળ છતાં હજુ સુધી લાપતા 21 વર્ષીય યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ભોગ બનનાર પરિવાર મૂળ રાજકોટનો રહેવાસી છે અને અધિક માસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના શરણોમાં શીશ ઝુકાવવા અને ગોમતી સ્નાન કરી પુણ્ય કમાવવા માટે દ્વારકા આવ્યો હતો, ત્યાં જ આ અણધારી આફત તૂટી પડી હતી.