Silver Seizure In Ahmedabad: રાજકોટ એરપોર્ટ પરથી 10 કરોડ રૂપિયાની ચાંદી ઝડપાયા બાદ હવે સ્ટેટ જીએસટી વિભાગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના ગીતા મંદિરથી લક્ઝરી બસમાં રાજકોટ તરફ જઈ રહેલા એક શખસ પાસેથી કોથળા ભરેલી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ગીતા મંદિરથી લક્ઝરી બસ મારફતે હેરાફેરી
મળતી માહિતી અનુસાર, સ્ટેટ જીએસટીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ગીતા મંદિર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખસને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસે રહેલા કોથળા ભરીની તપાસ કરતા તેમાંથી 100 કિલો ચાંદી મળી આવી હતી.
આ પણ વાંચો: રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ
80 ટકા જથ્થાના કોઈ બિલ નહીં!
જીએસટી વિભાગની પ્રાથમિક તપાસમાં આ ચાંદીના જથ્થા અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા ચાંદીના કુલ જથ્થામાંથી 80 ટકા જથ્થાનું કોઈ પાકું બિલ, હિસાબ કે કાયદેસરના દસ્તાવેજો મળ્યા નથી. આટલી મોટી માત્રામાં ચાંદી પકડાઈ હોવા છતાં, હજુ સુધી કોઈ વેપારીએ આ માલ પોતાનો હોવાનો સત્તાવાર દાવો કર્યો નથી. હાલમાં ગીતા મંદિરથી પકડાયેલી 100 કિલો ચાંદી મામલે સ્ટેટ જીએસટીએ તપાસ શરૂ કરી છે.


