Gujarat

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર

By GS TEAM
11 Jun 20262 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપીને બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહેલા બે યુવાનોને કાળનો ભેટો થઈ ગયો હતો. રોડ પર સ્થિર ઉભેલા એક ડમ્પરની પાછળ બાઈક જોરદાર રીતે ઘૂસી જતાં સર્જાયેલા આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર

Surendranagar Sayla Road Accident: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપીને બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહેલા બે યુવાનોને કાળનો ભેટો થઈ ગયો હતો. રોડ પર સ્થિર ઉભેલા એક ડમ્પરની પાછળ બાઈક જોરદાર રીતે ઘૂસી જતાં સર્જાયેલા આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરતા સમયે નડ્યો કાળ

સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતો અનિલ મેઘાભાઈ બાવળીયા નામનો યુવાન ધોરણ 10ની પરીક્ષા આપવા માટે સુરેન્દ્રનગર ગયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે પોતાના મિત્ર સંજય સાથે બાઈક પર સવાર થઈને પરત પોતાના ગામ નાગડકા જઈ રહ્યો હતો. આ દરમિયાન સાયલા-સુદામડા રોડ પર રસ્તામાં ઉભેલા એક ડમ્પરની પાછળ તેમની બાઈક અચાનક ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચલાવી રહેલા અનિલ મેઘાભાઈ બાવળીયા નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.


અન્ય એક યુવાન ગંભીર: હૉસ્પિટલ ખસેડાયો

આ અકસ્માતમાં બાઈક પર પાછળ બેસેલો સંજય ઝવેરભાઈ પરાલીયા નામનો અન્ય એક યુવાન પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સાયલા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું... એ ભેંકાર રાત યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે ડૉક્ટર્સ

ઈજાગ્રસ્ત સંજય પરાલીયાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ કટોકટીભરી સારવાર માટે તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. જ્યારે મૃતક અનિલ બાવળીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ધોરણ 10ની પરીક્ષા આપીને ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈ રહેલા યુવાનના અચાનક મોતના સમાચારથી નાગડકા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. સાયલા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.