Rajkot TRP Game Zone Fire: આજથી બરાબર બે વર્ષ પહેલા તા. 25-5-2024ના સમી સાંજે રાજકોટના નાનામવા રોડ પર આવેલા અને પોલીસે મંજૂરી આપેલા અને મનપાની મંજૂરી વગર ચાલતા અનધિકૃત ટીઆરપી ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠતા નાના ભૂલકાંઓ સહિત 27 લોકો એટલી હદે સળગીને ભડથું થઈ ગયા કે એક પણ મૃતદેહનો એક પણ અવશેષ ઓળખી ન શકાય. ડી.એન.એ. ટેસ્ટથી મૃતદેહોની ઓળખ કરવી પડી હતી અને લોકોમાં ભ્રષ્ટ તંત્ર સામે તીવ્ર આક્રોશ જાગ્યો હતો. આ વખતે અનેકવિધ વાતો, વાયદાઓ થયા બાદ આજે આ ઘટનાને બે વર્ષ થયા છે ત્યારે હજુ ભોગ બનનારાના પરિવારજનો આજે પણ ન્યાય મળવાનો ઈંતજાર કરી રહ્યા છે.
તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત
ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી દર્દનાક ઘટના ગણાય છે અને હાઇકોર્ટે પણ સ્યુ મોટો સુનાવણી હાથ ધરી હતી અને સરકારને કડક નિર્દેશો આપ્યા હતા. તત્કાલીન સમયે પોલીસ કમિશનર અને મ્યુનિ. કમિશનરની બદલીઓ થઈ, અધિકારીઓ સસ્પેન્ડ થયા બાદ રાજકોટ મનપાના ટી.પી.ઓ., એ.ટી.પી., ચીફ ફાયર ઓફિસર સહિત અધિકારીઓને જેલહવાલે કરાયા હતા. તેમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા સામે તો કરોડો રૂપિયાની બેનંબરી રકમનો પણ ગુનો નોંધાયો હતો. પરંતુ, આજે તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે અને કેસની રોજેરોજ સુનાવણીની હજુ શક્ય બની નથી.
એક પણ નેતાનો વાળ વાંકો ન થયો
ઘટના વખતે સરકારના મંત્રીઓની સંવેદનશીલતા જાણે છલકાતી હતી પરંતુ, આ અગ્નિકાંડમાં ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની ગેમઝોનની મુલાકાતના ફોટા વાઇરલ થયા અને આવડું તોતિંગ બાંધકામ મોટામાથાની સંડોવણી વગર ચાલી શકે નહીં તેવી સામાન્ય માન્યતા છતાં એક પણ નેતાનો કે ઉચ્ચ અધિકારીનો વાળ વાંકો થયો નથી.
આ પણ વાંચો: ભાવનગર જિ. પં. ના ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ
ન્યાયના નામે માત્ર 'તારીખ પે તારીખ'
ચમ્મરબંધીને છોડાયા નથી, કારણ કે ચમ્મરબંધીને પકડ્યા જ નથી. એક તરફ મોરબી ઝૂલતાપૂલ કાંડમાં નગરપાલિકાના સભ્યો સામે પગલા લેવાયા તેવું પગલુ પણ રાજકોટમાં લેવાયું નથી. રાજકોટના અગ્નિકાંડ હોય કે મોરબીનો અતિશય દર્દનાક ઝૂલતાપૂલ કાંડ હોય, ગમે તેટલા નિર્દોષો મોતને ગમે એટલી કરુણ રીતે ભેટ્યા હોય પણ બન્ને કેસના આરોપીઓ જામીન પર મુક્ત છે અને કેસો તારીખ પે તારીખ...


