Get The App

રાજકોટ: પહેલા દિવસે જંગલેશ્વરમાં 1119 મકાન જમીનદોસ્ત, આજે બંગલૉ પર ચાલશે બુલડોઝર

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટ: પહેલા દિવસે જંગલેશ્વરમાં 1119 મકાન જમીનદોસ્ત, આજે બંગલૉ પર ચાલશે બુલડોઝર 1 - image

Demolition in Jungleshwar Rajkot: રાજકોટના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને સંવેદનશીલ ગણાતું ડિમોલિશન ઓપરેશન સોમવારથી (23મી ફેબ્રુઆરી) જંગલેશ્વર અને એકતા કોલોની વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આજી નદીના પટ અને સરકારી જમીન પર અર્ધી સદીથી ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના 3600થી વધુ કર્મચારીઓના કાફલાએ મોરચો સંભાળ્યો છે. પહેલા દિવસે જ 1119 મકાનો તોડી પાડવામાં આવ્યા છે.


ઓપરેશનની આંકડાકીય વિગત

મળતી માહિતી અનુસાર. સોમવારે (23મી ફેબ્રુઆરી) વહેલી સવારથી મહા પાલિકાના 68 જે.સી.બી., 7 હિટાચી અને કટર,બ્રેકર સહિત 300 જેટલા સાધનો-વાહનો સાથે શહેરના ઈતિહાસનું સૌથી મોટુ અને સંવેદનશીલ એરિયામાં ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં 1119 મકાનોને જમીન દોસ્ત કરી દેવાયા છે અને મંગળવારે (24મી ફેબ્રુઆરી) બાકીના 370 કે જેમાં ઘણાં બે-ત્રણ માળના મિની બંગલૉ પણ છે તેને તોડવાની કાર્યવાહી હાથ ધરાશે અને કૂલ 1489 મકાનો તોડી પડાશે. 11100 મનપા સ્ટાફ તથા 2500 પોલીસ સ્ટાફ સહિત કૂલ 3600 થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. 

રાજકોટ: પહેલા દિવસે જંગલેશ્વરમાં 1119 મકાન જમીનદોસ્ત, આજે બંગલૉ પર ચાલશે બુલડોઝર 2 - image

નદીનો પટ અને ટી.પી. રોડ થશે ખુલ્લો

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર, આ કામગીરીથી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવશે. આજી નદી પટમાં 55,000 ચો.મી. જમીન પરના 992 મકાનો તોડાશે, જેથી પૂરના પાણીના નિકાલમાં સરળતા રહેશે. ટી.પી. રોડ પર 15 મીટર (50 ફૂટ) ના રસ્તા પર નડતરરૂપ 497 બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: રાજકોટ મેગા ડિમોલિશનના ભાવુક દૃશ્યો, દાયકાઓ જૂના ઘર છીનવાતા લોકો ચોધાર આંસુએ રડ્યા

માઈક્રો પ્લાનિંગ અને આધુનિક ટેકનિક

આ વિસ્તાર અત્યંત ગીચ હોવાથી મનપાએ નિવૃત્ત અને અનુભવી ટી.પી. અધિકારીઓને બોલાવીને ચોકસાઈપૂર્વક માર્કિંગ કરાવ્યું હતું, જેથી સ્ટે (રક્ષણ) મળેલા મકાનોને નુકસાન ન થાય. પી.જી.વી.સી.એલ., પોલીસ અને મનપાના સંયુક્ત માઈક્રો પ્લાનિંગને કારણે અત્યાર સુધીની કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડી છે.

ડિમોલિશન બાદ તુરંત વિકાસ કાર્યો

તંત્ર દ્વારા માત્ર દબાણ હટાવવા પૂરતું મર્યાદિત ન રહીને વિકાસનું આયોજન પણ કરી દેવાયું છે. ડિમોલિશન પૂરું થતા જ 15 મીટરના રસ્તાનું ખાતમુહૂર્ત કરાશે. જી.આઈ.ડી.સી. પાસે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે. ફરીથી દબાણ ન થાય તે માટે આ વિસ્તારમાં સતત સીસીટીવી અને સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવશે.

લોકોએ જાતે જ સામાન હટાવ્યો

તંત્રની સમજાવટને પગલે અનેક લોકોએ ગત રાત સુધીમાં મકાનો ખાલી કરી દીધા હતા. લોકોએ મકાનમાંથી બારસાખ, લાકડાં, ફોલ સિલિંગ અને બાથરૂમ ફિટિંગ્સ જેવો કિંમતી સામાન અગાઉથી જ કાઢી લીધો હતો. સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ બનાવીને ઉચ્ચ પોલીસ અને મનપા અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.