- કટઓફમાં કાપ ખાલી બેઠકોને ધ્યાનમાં રાખી લેવાયો, શિક્ષણની ગુણવત્તા પર કોઇ અસર નહીં થાય : કેન્દ્રનો બચાવ
- સરકારી કોલેજોમાં ફી 9000થી 27000 જ્યારે ખાનગી કોલેજોમાં એક કરોડ, સામાન્ય લોકો કેવી રીતે એડમિશન લે : અરજદારો
નવી દિલ્હી : નીટ પીજી ૨૦૨૫ માટે કટ ઓફમાં ઘટાડાના નિર્ણયનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ નિર્ણયની ડોક્ટોરની ક્લિનિકલ ક્ષમતા પર કોઇ અસર નહીં પડે અને પર્સેંટાઇલમાં ઘટાડા બાદ પણ સીટોની ફાળવણી ઉમેદવારના મેરિટ અને પ્રાથમિકતાના આધાર પર નક્કી કરાશે. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કટ ઓફ ઘટાડાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.
વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે પર્સેંટાઇલ કટ ઓફમાં ઘટાડો કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે, જેની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમે કહ્યું હતું કે અમે શિક્ષણની ગુણવત્તા પર અસરને લઇને સૌથી વધુ ચિંતિત છીએ, મામલો ગુણવત્તાનો છે, સરકાર આ મુદ્દે પ્રકાશ પાડે. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું હતું કે ખાલી બેઠકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નીટ-પીજી આપનારો ઉમેદવાર પહેલાથી જ એમબીબીએસ થયેલ હોય છે તેથી આ પરીક્ષા લઘુતમ ક્લિનિકલ યોગ્યતાને પ્રમાણિત કરવા માટે નથી.
જ્યારે અરજદારો તરફથી હાજર વકીલ ગોપાલ શંકરનારાયણે ફીમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે જણાવ્યું હતું કે સરકારી મેડિકલ કોલેજોમાં ફી ૯૦૦૦થી ૨૭૦૦૦ સુધી હોય છે જ્યારે ખાનગી કોલેજોમાં ૯૫ લાખથી ૧.૫ કરોડ રૂપિયા લેવાય છે. ૫૦માં પર્સેંટાઇલ સુધી લગભગ ૧.૩ લાખ વિદ્યાર્થી સામેલ થવા છતા વધારે ફીને કારણે તેઓ ખાનગી કોલેજોમાં પ્રવેશ નથી મેળવી શકતા. તેમણે ખાનગી કોલેજો દ્વારા વસુલાતી ફી પર અંકુશ લગાવવાની માગણી કરી હતી. જેના પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા આ માટે નિયમો તૈયાર કરાયા છે. જે મુજબ ખાનગી કોલેજોની ફી સરકારી કોલેજોની ફીથી ૫૦ ટકાથી વધુ ના હોવી જોઇએ. જવાબમાં અરજદારોએ કહ્યું કે જો ખરેખર આવો નિયમ હોય તો ખાનગી કોલેજો તેનું ઉલ્લંઘન કરી રહી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પી. એસ. નરસિમ્હા અને ન્યાયાધીશ આલોક અરાધેની બેંચે સરકારના જવાબ બાદ કહ્યું હતું કે નીટ-પીજી એમબીબીએસમાં એડમિશન માટે નથી હોતી અને ઉમેદવારો પહેલાથી જ ડોક્ટર હોય છે તેમ છતા પણ કટ-ઓફમાં આટલો મોટો કાપ અને તેના પ્રભાવ પર વિચાર કરવો જરૂરી છે. કોર્ટની મુખ્ય ચિંતા શિક્ષણની ગુણવત્તા છે અને સરકાર અમને સંતુષ્ટ કરે કે કટ ઓફને લગભગ શૂન્ય સુધી ઘટાડવા છતા શિક્ષણની ગુણવત્તા પર કોઇ અસર નહીં થાય. નોંધનીય છે કે સામાન્ય-ઇડબલ્યુએસ વર્ગ માટે કટ ઓફ ૫૦માં પર્સેંટાઇલ (૮૦૦માંથી ૨૬૭ માર્ક્સ)થી ઘટાડીને સાતમા પર્સેંટાઇલ (૧૦૩ માર્ક્સ) કરી દેવાયો હતો, સામાન્ય પીડબલ્યુબીડી વર્ગ માટે ૪૫માંથી ઘટાડીને પાંચમાં સુધી કરી દેવાયું, તેવી જ રીતે એસસી, એસટી ઓબીસી તથા પીડબલ્યુબીડી ઉમેદવારો માટે ૪૦માં પર્સેંટાઇલને ઘટાડીને શૂન્ય કરી દેવાયું હતું. અરજદારોનો દાવો છે કે આ નિર્ણયથી શિક્ષણની ગુણવત્તા ઘટશે, બાદમાં સુપ્રીમ કોર્ટે એનબીઇએમએસને આ મુદ્દે સોગંદનામુ દાખલ કરવા કહ્યું હતું.


