Get The App

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
CN PTC College

Ahmedabad News : અમદાવાદની પ્રતિષ્ઠિત શેઠ સી.એન. વિદ્યાલયની PTC કોલેજમાં અભ્યાસ કરતી પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સાથે અધ્યાપક દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે વાલીએ સંસ્થાને રજૂઆત કરી હોવા છતાં, ચાર દિવસ સુધી મેનેજમેન્ટ દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે DEO કચેરીએ હસ્તક્ષેપ કરવો પડ્યો છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સંસ્થાની ઉદાસીનતા બદલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને કારણદર્શક નોટિસ ફટકારી છે અને દોષિત અધ્યાપકને તાત્કાલિક સસ્પેન્ડ કરી સમગ્ર ઘટનાનો રિપોર્ટ સોંપવા કડક આદેશ આપ્યા છે.

પ્રિન્સિપાલે શું કહ્યું?

આ ઘટના અંગે પ્રિન્સિપાલ ભગવાન પટેલે જણાવ્યું હતું કે, 'ગત 20 તારીખે પરીક્ષા દરમિયાન એક અધ્યાપકે વિદ્યાર્થિનીનો હાથ પકડ્યો હતો અને તેની ઉત્તરવહી લઈ લીધી હોવાની વાત તે દીકરીએ મને 25 તારીખે સાંજે મૌખિકમાં જણાવી હતી. મેં તેને લેખિતમાં ફરિયાદ આપવા કહ્યું અને આજે(27 માર્ચ) સવારે લેખિત ફરિયાદ મળતા જ સંસ્થાએ તાત્કાલિક તે અધ્યાપકને ફરજમુક્તિનો આદેશ આપી દીધો છે અને આ અંગે મેં DEOને પણ સત્વરે જાણ કરી દીધી છે.'

પ્રિન્સિપાલે વધુમાં કહ્યું કે, 'અધ્યાપક છેલ્લા 25 વર્ષથી અહીં કાર્યરત હતા અને અગાઉ તેમની સામે આવી કોઈ ફરિયાદ કે મેસેજની વાતચીત ક્યારેય મારા ધ્યાને આવી નથી, પરંતુ આ બાબત ગંભીર હોવાથી અમે ત્વરિત પગલાં લીધા છે. આજે શુક્રવારે બપોરે 3 વાગ્યે વિશાખા સમિતિની મિટિંગ બોલાવી છે, જેમાં આગળની કડક કાર્યવાહી નક્કી કરવામાં આવશે.'

આ પણ વાંચો: RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો

આ ઘટના અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, 'સીએન PTC કોલેજના એક અધ્યાપકે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરીની છેડતી કરી હોવાની બાબત મારા ધ્યાને આવી છે, જે અંગે ગઈકાલે તે દીકરીના વાલીએ મને ટેલિફોનિક જાણ કરી હતી. આ ઘટના આશરે ચારથી પાંચ દિવસ પહેલા બની હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા, મેં તાત્કાલિક અસરથી સીએન વિદ્યાલયના મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને આ બાબતે ખુલાસો રજૂ કરવા અને તે અધ્યાપક સામે સસ્પેન્શન જેવી સત્વરે કામગીરી કરવા સૂચના આપી છે. આવી ગંભીર ઘટનામાં નિરસ્તા દાખવવા બદલ મેં પ્રિન્સિપાલ પાસે પણ જવાબ માંગ્યો છે અને સંસ્થા પાસેથી આ અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે. અત્યારે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિગતવાર તપાસ અહેવાલ આવ્યા બાદ અમે આ મામલે આગળ વધીશું.'