Get The App

નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં!

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! 1 - image


NOTA Proves Ineffective in AMC Polls: આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ પ્રાથમિક સુવિધાના અધૂરા કામો મુદ્દે પાંચ વર્ષથી દબાયેલો લોકોનો રોષ ઉભરાવવા લાગ્યો હતો. જનસંપર્ક રાઉન્ડમાં પણ કેટલાક વિસ્તારમાં મતદારોએ ઉમેદવારોને રોકડું પરખાવ્યું હતું. પરંતુ લોકોનો આ આક્રોશ મતપેટી સુધી પહોંચતા પહેલાં જાણે ઓસરી ગયો હતો. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો સામે અસંતોષ હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલની ચૂંટણીમાં 18.67 લાખમાંથી માત્ર દોઢેક ટકા એટલે કે ત્રીસેક હજાર મતદારોએ જ 'નોટા'નું બટન દબાવ્યું હતું.

પૂર્વના વિસ્તારોમાં માંડ 300થી 500

દેશમાં વર્ષ 2013થી રાજકીય પક્ષ અને તેમના ઉમેદવારો સામે અણગમો વ્યક્ત કરવા મતદારોને 'નોટા' (None of the Above) એટલે કે 'ઉપરનામાંથી એક પણ નહીં'નો વિકલ્પ આપવામાં આવ્યો છે. અમદાવાદ  મ્યુનિસિપલની ચૂંટણીમાં વસ્ત્રાલ, નિકોલ, મણિનગર, થલતેજ, ગોતા અને રાણીપ જેવા વિસ્તારોમાં નોટાને 750થી 950 મત મળ્યા હતા, જ્યારે બહેરામપુરા, જમાલપુર, દાણીલીમડા અને દરિયાપુર જેવા વિસ્તારોમાં માંડ 300થી 500 મત નોટામાં પડ્યા હતા.

નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! 2 - image

મહારાષ્ટ્ર, હરિયાણા, પુડુચેરીમાં નોટાને વધુ મત મળે તો ફરી ચૂંટણી યોજવાની જોગવાઈ

મહારાષ્ટ્ર, હરિયાણા અને પુદુચેરીમાં નોટાને એક કાલ્પનિક ઉમેદવાર તરીકે માન્યતા અપાય છે. જો નોટાને સૌથી વધુ મત મળે તો ફરીવાર ચૂંટણી યોજવાની જોગવાઈ છે, જેમાં અગાઉ નોટાથી ઓછા મત મળ્યા હોય તેવા ઉમેદવારોને ગેરલાયક ઠેરવી દેવાય છે. રશિયામાં 1990ના દાયકામાં નોટાને વધુ મત મળતા ફરી ચૂંટણી થઈ હતી અને તેમાં આખી બાજી પલટાઈ ગઈ હતી.

આ પણ વાંચો: 'ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..', ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું ફોડ્યું

સૌથી વધુ મત નોટામાં હોય તો શું થાય?

નોટાને મહત્તમ મત મળે તેવા કિસ્સામાં પણ બીજા ક્રમે જેને વધુ મત મળ્યા હોય તે ઉમેદવાર વિજેતા બને છે. તેથી જ કેટલાક લોકો માને છે કે 'કોણ ઓછો ખરાબ?' તેવું વિચારીને મત આપી આવવો જોઈએ, જેથી મતોનો ફાજલ વ્યય ન થાય.