Ahmedabad Khadia Seat: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારે બહુમતી સાથે ભાજપે વિજય હાંસલ કર્યો છે. પરંતુ 54 વર્ષના ઇતિહાસમાં ભાજપે ખાડિયા બેઠક ગુમાવવી પડી હતી. જેથી ગઢ આલા, સિંહ ગેલા જેવો ઘાટ સર્જાયો છે. જોકે, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાની હારનું ઠીકરું ભાજપ પ્રદેશ નેતાગીરી પર ફોડ્યું હતું. તેમનો આક્ષેપ છે કે, ખાડિયામાં ઉમેદવારોની પસંદગીમાં પક્ષે ભૂલ કરી છે અને અમારું પૂછ્યું જ નથી.
SIRને લીધે 25 હજાર મતદારો ઘટ્યા
ખાડિયા બેઠકમાં ભાજપની હાર સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહી છે. બેઠક ગુમાવતા પ્રદેશ નેતાગીરી જ નહીં, દિલ્હી હાઈકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે. દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે હાર માટે પ્રદેશ નેતાગીરીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, ઉમેદવાર નક્કી કરતી વખતે પાર્ટીએ મારો અભિપ્રાય જ લીધો ન હતો. ઉમેદવારોની પસંદગીમાં પક્ષે થાપ ખાધી છે.
વાસ્તવમાં ખાડિયામાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. ભૂષણ ભટ્ટની કથિત દાદાગીરી અને અનીતિથી સ્થાનિકો તંગ આવ્યા છે. ચૂંટણી પ્રભારી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે, 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR)ને લીધે ખાડિયામાં મૃતક અને બે સ્થળોએ નામ ધરાવતા અંદાજે 24 હજાર મતદારોના નામ કમી થયા છે. ખોટા મતદારોને લઈને કોંગ્રેસે આખી કવાયત કરાવી હતી તેનું આ પરિણામ છે.


