NEET પેપરલીક અને વિદ્યાર્થીઓ પરના દમન સામે ગુજરાતમાં આક્રોશ: વાવ-થરાદમાં કોંગ્રેસનો વિરોધ, બાવળામાં જનઆક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Protest Over Union Education Minister Resignation: દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી આંદોલન અને પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને કાર્યવાહીના પડઘા ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ સહિત સરહદી વિસ્તાર વાવ-થરાદમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. જ્યારે અમદાવાદના બાવળામાં પણ પેપરલીક અને વિદ્યાર્થીઓ પરના દમન સામે ભારે વિરોધ કરવાની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાંની માગ ઉઠી રહી છે.
વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં થરાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
દિલ્હીમાં પોતાના હક્કો માટે લડી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આજે(22 જુલાઈ) થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા 'મુવાડી મંડપ' દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ થરાદના મુખ્ય જાહેર માર્ગો પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો અને રસ્તાઓ પર ચક્કાજામ કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે વિદ્યાર્થીઓની માંગણીઓને વાજબી ગણાવીને ત્વરિત ઉકેલ લાવવાની માગ કરી હતી. જાહેર રસ્તાઓ પર ચક્કાજામ થવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વિરોધ પ્રદર્શન કરી રહેલા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, જિલ્લાના મહિલા પ્રમુખ ગીતાબહેન નાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.

NEET પેપરલીક અને વિદ્યાર્થીઓ પરના દમન સામે બાવળામાં ભારે વિરોધ
NEET પેપરલીક અને જંતર મંતર ખાતે પ્રદર્શનકારીઓ પરના દમન સામે અમદાવાદના બાવળા ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાંની માગ જનઆક્રોશ જોવા મળ્યો હતો. દેશમાં અવારનવાર બનતી પેપર લીકની ઘટનાઓ અને દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં બાવળા ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

બાવળાના મુખ્ય ચાર રસ્તા ખાતે આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક ગ્રામજનો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન આકરા સૂત્રોચ્ચાર સાથે ધરણાં યોજવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ આક્ષેપ કર્યો હતો કે, પેપરલીકના કારણે દેશના યુવાધનનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે. દિલ્હી ખાતે અનશન પર બેઠેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર કરાયેલા ખોટા કેસો અને દમનકારી પગલાંને તાત્કાલિક પાછા ખેંચવાની ઉગ્ર માગ કરવામાં આવી હતી. આ ગંભીર બેદરકારીની જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ત્વરિત રાજીનામું આપે તેવી પ્રબળ માગ સાથે બાવળા ચાર રસ્તા ખાતે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સમગ્ર વિસ્તાર વિરોધના સૂરથી ગુંજી ઊઠ્યો હતો.









