Naswadi Crime News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે એક માસ પૂર્વે થયેલી વૃદ્ધાની હત્યા અને લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. લોનના હપ્તા ભરવા માટે વૃદ્ધાના પગ કાપીને ચાંદીના કડા લૂંટનારા બે શખસોને એલસીબી અને નસવાડી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા ચાંદીના કડા પણ કબજે કર્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, ગઢબોરિયાદ ગામે રહેતા 65 વર્ષીય દશરીબહેન ભીલ પોતાના કાચા ઝૂપડામાં એકલા હતા, ત્યારે રાત્રિના સમયે લૂંટના ઈરાદે બે શખસો ત્રાટક્યા હતા. નસવાડી તાલુકાના ધોળી કોતરડીનો 27 વર્ષીય રણજીત ઉર્ફે રંગો ભીલ અને ખડકિયાનો 56 વર્ષીય વિપીન ભીલ આ બંનેએ વૃદ્ધાના ઘરમાં ઘૂસી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. વૃદ્ધાએ પગમાં આશરે એક કિલો વજનના ચાંદીના કડા પહેર્યા હતા, જે સહેલાઈથી ન નીકળતા નરાધમોએ વૃદ્ધાના પગ કાપી નાખી કડાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
કારના હપ્તા ભરવા આચરી ક્રૂર હત્યા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થોય છે કે, આરોપીએ ફાઇનાન્સ કંપનીમાંથી ઈકો કાર લોન પર લીધી હતી. લોનના હપ્તા ચઢી ગયા હોવાથી નાણાંની સગવડ કરવા માટે તે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓ છેલ્લા એક મહિનાથી આ વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરવાની ફિરાકમાં હતા. લૂંટ કર્યા બાદ આરોપીઓએ ચાંદીના કડા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નામલપુર ગામે છુપાવી રાખ્યા હતા, જે પોલીસે રિકવર કર્યા છે.
આરોપીઓનો વરઘોડો કાઢવા લોકમાંગ
આ અમાનવીય કૃત્ય આચરનાર હત્યારાઓ પકડાઈ જતા ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે. જોકે, આરોપીઓએ જે રીતે વૃદ્ધાના પગ કાપીને હત્યા કરી છે તેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ હત્યારાઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે, જેથી સમાજમાં દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.


