Get The App

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરાર

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરાર 1 - image

Jamnagar News: જામનગરમાં વસઈ ગામ પાસે રવિવારની રાત્રિએ બનેલી સનસનાટીભરી ફાયરિંગ અને જીવલેણ હુમલાની ઘટનામાં જામનગર પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સામેલ 6 શખ્સોને હથિયારો અને વાહનો સાથે ઝડપી લીધા છે, જ્યારે પૂર્વ કોર્પોરેટર સહિત અન્ય 6 આરોપીઓને ફરાર જાહેર કરી તેમની શોધખોળ આદરી છે.

શું હતી સમગ્ર ઘટના?

જામનગરના પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ કરીમભાઈ ખીલજીએ સિક્કા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભત્રીજા શાહનવાઝ મહમદ હનીફભાઈ ખીલજી અને રઉફ ગુલામહુશેન સહિત ચાર વ્યક્તિઓ પોતાની થાર જીપ (GJ-10-EH-3130) લઈને જામનગર-દ્વારકા હાઈવે પર પસાર થઈ રહ્યા હતા. તુલસી હોટલ પાસે પહોંચતા જ અન્ય એક થાર (GJ-10-EC-0786) અને બલેનો કારમાં આવેલા શખ્સોએ તેમનો પીછો કર્યો હતો. આરોપીઓએ ચાલુ ગાડીએ ફાયરિંગ કર્યું હતું અને વસઈ ગામ પાસે શાહનવાઝની થારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ હુમલામાં શાહનવાઝ અને રઉફને ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરાર 2 - image

પોલીસે નાકાબંધી કરી 6 લોકોને ઝડપી લીધા

ઘટનાની ગંભીરતાને જોતા જામનગર SPએ તાત્કાલિક સમગ્ર જિલ્લામાં નાકાબંધીના આદેશ આપ્યા હતા. જે બાદ 6 લોકોની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે 18,10,440 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હતો.

ઝડપાયેલા આરોપીઓના નામ

-મોસીન ઉર્ફે મુસો મહેબુબભાઈ રુમી

-હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ

-તબરેજ રફીકભાઈ હાલાણી

-નુરમામદ ખલીલભાઈ સિદીકી

-તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોજખાન શેખ

-વિજય ઉર્ફે ગોનો ધેલાભાઈ સીંગરખીયા

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરાર 3 - image

મુદ્દામાલ અને હથિયારો જપ્ત

-2 નંગ દેશી બનાવટના તમંચા

-3 નંગ જીવતા કારતૂસ

-4 નંગ લોખંડના પાઇપ, કોયતો, છરી અને હથોડી

-1 બલેનો કાર અને 1 થાર જીપ

જૂની અદાવત હુમલા પાછળનું કારણ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલો પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ હતો. ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદી પક્ષના શાહનવાઝ ખીલજી અને અન્યોએ ઓસમાણભાઈ મુસાભાઈ ખફીને જૂની અદાવતમાં માર માર્યો હતો. આ ઘટનાનું વેર વાળવા અલ્તાફ ગફાર ખફી અને તેના સાથીઓએ આ ફાયરિંગ અને હુમલાની યોજના ઘડી હતી.

આ પણ વાંચો: 'ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો', AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામાં માંગ

હજુ કોણ છે ફરાર?

પોલીસે આ કેસમાં પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફી, અનવર ગફાર ખફી, મુખ્યાત ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, મહેબુબ બોદુભાઇ ખફી, હનીફ મુસા ખફી અને હુસેન બોદુ ખફીને ફરાર જાહેર કર્યા છે. સિક્કા પોલીસે આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને હથિયાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.