Jamnagar Brass Industry Crisis: ગલ્ફના યુદ્ધની માઠી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી છે. ગેસ અને કાચા માલની અછતના પગલે બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળા લાગ્યા છે. ઉદ્યોગ શટડાઉનની કગારે પહોંચી જતા ઉદ્યોગકારો દ્વારા વહીવટી તંત્ર સાથે તાકિદની બેઠક યોજી સમગ્ર સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા તાકિદે ગેસ પુરવઠો પૂર્વવત કરવા સહિતના પ્રયાસોની ખાતરી અપાઈ હતી.
જામનગરના બ્રાસ ઉદ્યોગની પડી ભાંગતી સપ્લાય ચેઈન
છેલ્લા 20 દિવસથી યુકે, અમેરિકા, ગલ્ફના દેશોમાંથી આવતો કાચો માલ, એક્સપોર્ટ માટેના ઓર્ડર અને મેન્યુફેક્ચરિંગમાં અત્યંત જરૂરી એવા ઇન્ડસ્ટ્રીયલ ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે. વિદેશી સપ્લાય ચેઈન તૂટી પડતા જામનગરના બ્રાસ ઉદ્યોગને ઓક્સિજન મળતો બંધ થયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને ગેસ આધારિત શેલિંગ અને એક્સટ્રુઝન પ્લાન્ટ ધરાવતા ઉદ્યોગકારોને આ વૈશ્વિક યુદ્ધે કમરતોડ ફટકો માર્યો છે અને ઉદ્યોગ શટડાઉનની કગારે પહોંચી ગયો છે. હજારો શ્રમિકોની રોજીરોટી પર અસર પહોંચી છે.
ઉદ્યોગને જીવંત રાખવા 13,000થી વધુ ગેસ બોટલની માંગ
આ કટોકટી વચ્ચે, જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ઉદ્યોગકારોની વાસ્તવિક પરિસ્થિતિ અને ગેસ સિલિન્ડરોની અછતનો તાગ મેળવવા માટે વિગતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતને પગલે એસોસિએશને બંધ પડેલા યુનિટોનો ડેટા એકત્રિત કરતા 450થી વધુ કારખાનેદારોએ ફોર્મ ભરીને ડેટા મોકલી આપ્યો હતો. આ ડેટા અનુસાર, માત્ર આ 450 ફોર્જિંગ યુનિટોને જ ચાલુ રાખવા માટે 13,098 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તાતી જરૂરિયાત હોવાનું સામે આવ્યું હતું. ગેસના અભાવે આ 450થી વધુ કારખાનાઓ સંપૂર્ણ બંધ થઈ ગયા છે તથા યુદ્ધની સ્થિતિના કારણે છેલ્લા 15-20 દિવસથી વિદેશી ભંગારની આયાત પર સંપૂર્ણ બ્રેક લાગી ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસનો 'જાદુ': 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર?
સંકટના સમયે વહીવટી તંત્ર અને ઉદ્યોગકારો એક મંચ પર
આ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર ફેક્ટરી એસોસિએશન અને જામનગર દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા વહીવટી તંત્ર સાથે એક તાકીદની બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને પુરવઠા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં ઉદ્યોગકારોએ ગેસ અને કાચા માલની અછત અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી. તંત્ર દ્વારા બ્રાસ ઉદ્યોગની વાજબી જરૂરિયાતોને સત્વરે પૂરી કરવા માટેના સકારાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી.


