Gujarat Police: ગુજરાતમાં ડ્રગ્સ પકડીને પોલીસ-સરકાર વાહવાહી મેળવી રહી છે, પરંતુ ડ્રગ્સના નિકાલને લઈને ખાખી વર્દી જ શંકાના ઘેરામાં મૂકાઈ છે. એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે માદક દ્રવ્યોનો નિકાલ તો કર્યો પણ બાકીના જથ્થો ક્યાં ગયો? તે અંગે પૂછતાં એવો જવાબ આપ્યો કે, '29 કિલો અફીણ તો હવામાં બાષ્પીભવન થઈ ગયું.'
સુરેન્દ્રનગર SOGએ 38 કિલો પૈકી 2 કિલો જ અફીણનો નાશ કર્યો
ડ્રગ્સ-માદક દ્રવ્યોની જાળવણી કરવામાં ગુજરાત પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે. કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો કે, પોલીસ સ્ટેશનમાંથી જ 144 કિલો ગાંજાની જ ચોરી થઈ ગઈ. આ ઉપરાંત અમુક કિલો ડ્રગ્સ તો ઉંદર જ ખાઈ ગયા. હવે એ વાત ધ્યાને આવી કે, ફેબ્રુઆરી 2022માં સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે 31 કિલો અફીણનો જથ્થો પકડ્યો હતો. પણ આ અફીણની જાળવણી કરી શકાઈ નહીં. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે માત્ર 2 કિલો અફીણનો જ નાશ કર્યો હતો. આ બાબતે ખુલાસો પૂછતાં પોલીસે એવો જવાબ રજૂ કર્યો કે, અફીણનું બાષ્પીભવન થતાં વજનમાં ઘટાડો થયો છે. ટૂંકમાં 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું હોવાનું કારણ દર્શાવાયું હતું જે ગળે ઉતરે તેમ જ નથી.
આ જ પ્રમાણે, ફેબ્રુઆરી 2022માં આંકલાવ પોલીસ સ્ટેશનમાં પણ 226 કિલો ખસખસનો જથ્થો હતો તે પૈકી 199 કિલોનો નિકાલ કરાયો હતો. પણ જ્યારે ઘટસ્ફોટ પૂછાયોકે, 27 કિલો ખસખસનો જથ્થો ક્યાં છે? તે જવાબ આપી દેવાયોકે, બાષ્પીભવન થઈ ગયું છે.
આમ, જપ્ત કરાયેલાં માદક દ્રવ્યો અને નિકાલ કરાયેલાં માદક દ્રવ્યો વચ્ચે 11.99 ટકાથી માંડીને 93.21 ટકા સુધીનો તફાવત રહ્યો હતો. આ બાબતે કેગે ગંભીર નોંધ લીધી હતીકે, ડ્રગ્સ, અફીશ-માદક દ્રવ્યોના વજન ઘટાડાનું કારણ માનવામાં આવે તેમ નથી. પોલીસ સ્ટેશનમાં માદક દ્રવ્યો જાય ક્યાં? તે સવાલને લઈને ખુદ ખાખી વર્દી સામે જ આંગળી ચિંધાઈ રહી છે.


