Jamnagar News: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે એક આશાસ્પદ યુવકે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
વાડીએ જઈને ભર્યું આત્મઘાતી પગલું
મળતી માહિતી અનુસાર, ગીંગણી ગામના રહેવાસી 30 વર્ષીય લખન ડઢાણિયા નામના યુવકે પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ યુવકની તબિયત ગંભીર રીતે લથડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે BNSSની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ ચકચારી ઘટના અંગે અરવિંદ ડઢાણિયાએ જામજોધપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે આ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ અકસ્માતે મોતની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 30 વર્ષના યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, જેથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ શોધવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


