Get The App

સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં વાઘ પર પથ્થરમારો કરતો યુવક કેમેરામાં કેદ, વાઈરલ વીડિયોથી પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં વાઘ પર પથ્થરમારો કરતો યુવક કેમેરામાં કેદ, વાઈરલ વીડિયોથી પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ 1 - image

Surat Zoo Viral Video: સુરતના સરથાણા નેચર પાર્ક ઝૂનો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા માત્ર છ સેકન્ડના એક વીડિયોએ પ્રાણીપ્રેમીઓ સહિત સમાજના જાગૃત નાગરિકોને ચોંકાવી દીધા છે. વીડિયોમાં એક યુવક ઝૂની અંદર આરામ કરી રહેલા દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘ પર પથ્થર ફેંકતો જોવા મળી રહ્યો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના લીરેલીરા ઉડાવતી આ ઘટનાને પગલે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.

શાંત બેઠેલા વાઘને ચીડવવા પથ્થર માર્યો 

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક ઝૂના પાંજરામાં વૃક્ષ નીચે શાંતિથી બેઠેલા વાઘ પર પથ્થર ફેંકે છે. પ્રાણીપ્રેમીઓના મતે, આ હરકત પાછળ વાઘને ઉશ્કેરવાનો અને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો બદઇરાદો સ્પષ્ટ દેખાય છે. વીડિયો ભલે ટૂંકો હોય, પરંતુ આ અગાઉ પણ વાઘને લાંબા સમય સુધી હેરાન કરાયું હોવાની આશંકા નકારી શકાતી નથી. આ ઘટનાનો સૌથી ચિંતાજનક અને આઘાતજનક વાત એ છે કે જ્યારે યુવક વાઘ પર પથ્થરમારો કરી રહ્યો હતો, ત્યારે આસપાસ અન્ય કેટલાક મુલાકાતીઓ પણ ઉભા હતા. છતાં, ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિએ આ હરકત રોકવાનો કે યુવકને ટોકવાનો સહેજ પણ પ્રયાસ કર્યો નહોતો. 

આ પણ વાંચો: સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા

સીસીટીવી ફૂટેજ તપાસી કાનૂની પગલાં લેવા વન્યજીવ પ્રેમીઓની માંગ

આ વાઈરલ વીડિયો સરથાણા નેચર પાર્કનો જ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થાય છે, જોકે આ ઘટના કયા દિવસની છે તેની કોઈ સત્તાવાર વિગત હજુ સામે આવી નથી. પ્રાણી અને પર્યાવરણ પ્રેમીઓએ ઝૂ સત્તાધીશો તથા સુરત મહાનગરપાલિકા (SMC)ને આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવા વિનંતી કરી છે. માંગ કરવામાં આવી રહી છે કે ઝૂ પરિસરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાની તપાસ કરવામાં આવે જેથી આ યુવકની ઓળખ કરી તેની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલભેગો કરવામાં આવે.

ઉલ્લેખનીય છેકે, સરથાણા ઝૂમાં અગાઉ પણ મુલાકાતીઓ દ્વારા પ્રાણીઓને ચીડવવા, અવાજો કરવા કે પ્રતિબંધિત ખાવાનું ફેંકવાની ઘટનાઓ બની ચૂકી છે. આવી પ્રવૃત્તિઓ વન્યજીવોના સ્વાસ્થ્ય અને તેના કુદરતી વર્તન પર ગંભીર નકારાત્મક અસર કરે છે. પ્રાણીઓને માત્ર મનોરંજનનું સાધન સમજતા આવા અસામાજિક તત્વોને કડક સંદેશ આપવા માટે હવે તંત્ર દ્વારા કેવી અને કેટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.