10 ફૂટનો મહાકાય રોટલો: ગુરુપૂર્ણિમાએ જામનગરની સંસ્થાએ જલારામ બાપાને અર્પણ કરી બનાવ્યો રૅકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

10 Foot Bajra Rotlo World Record: અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેપુર) ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે જામનગરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર-હાપા દ્વારા 10 ફૂટ બાય 10 ફૂટ વ્યાસનો વિશાળ બાજરાનો રોટલો તૈયાર કરી સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. આજે(29 જુલાઈ) ગુરુપૂર્ણિમાના પાવન દિવસે જામનગરની સંસ્થાને નવા કીર્તિમાન સાથેનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.
ગુરુપૂર્ણિમાએ જામનગરની સંસ્થાએ જલારામ બાપાના ગુરુને અર્પણ કર્યો 10 ફૂટનો મહાકાય રોટલો
સંસ્થાનો દાવો છે કે, આ અનોખા ધાર્મિક સેવા કાર્ય સાથે વિશ્વવિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે અને ઇન્ટરનેશનલ બુક ઓફ રૅકોર્ડ્સની ટીમ દ્વારા આ વિશ્વ વિક્રમી રોટલા માટેનું નવું સર્ટિફિકેટ એનાયત કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અગાઉ જામનગરમાં પૂજ્ય સંતશિરોમણી જલારામ બાપાને 7 ફૂટ વ્યાસનો બાજરાનો રોટલો અર્પણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે રૅકોર્ડ બનાવ્યો હતો. આ પરંપરાને આગળ વધારતાં બુધવારે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભોજલધામ ખાતે 10 ફૂટ વ્યાસનો વિશાળ બાજરાનો રોટલો તૈયાર કરી ભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે ભોજલધામના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ, ભુપેન્દ્રભાઈ જોષી તથા નિખિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ, તેમજ ટ્રસ્ટના સભ્યોની ઉપસ્થિતિમાં 10 ફૂટનો મહાકાય રોટલો તૈયાર કરાયો હતો.
જલારામ સેવા ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ એવા પૂજ્ય ભોજલરામ બાપા પ્રત્યેની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરવાની સાથે અન્નદાન, સેવાભાવ અને ભારતીય સંસ્કૃતિનો મેસેજ વિશ્વ સુધી પહોંચાડવાનો છે. 10 ફૂટ વ્યાસના આ વિશાળ બાજરાના રોટલાને લઈને વિશ્વવિક્રમ માટે જરૂરી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી અને નવો કિર્તીમાન સ્થાપિત કરાયો છે.









