India’s First Barrierless Toll System In Sura: પરિવહન અને ટૅક્નોલૉજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ મેળવી છે. ભારતનો સૌપ્રથમ બહુપ્રતિક્ષિત 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા આજથી એટલે કે પહેલી મેથી સુરતમાં કાર્યરત થઈ ગયો છે. આ નવી ટૅક્નોલૉજીના અમલીકરણ સાથે હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં.
સફળ ટ્રાયલ બાદ અમલીકરણ
સુરત અને ભરુચ વચ્ચે આવેલા મુંબઈ-દિલ્હી હાઇવે (NH48) પર છેલ્લા બે મહિનાથી આ આધુનિક સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) દ્વારા ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ સફળ રહેતા હવે સુરતના કામરેજ પાસે આ સુવિધાને આખરી ઓપ આપીને શરૂ કરી દેવામાં આવી છે.
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
•આ આખી વ્યવસ્થા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટૅક્નોલૉજી પર આધારિત છે.
•હાઇ-રિઝોલ્યુશન કેમેરા: હાઇવે પર લગાવેલા ખાસ કેમેરા પસાર થતાં વાહનોની નંબર પ્લેટને સ્કેન કરશે.
•ઓટોમેટિક કટિંગ: FASTag સાથે જોડાયેલા ખાતામાંથી નિર્ધારિત ટોલની રકમ સીધી જ ડેબિટ થઈ જશે.
•કોન્ટેક્ટલેસ પ્રક્રિયા: સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક અને સંપર્ક રહિત રહેશે.
ફાસ્ટેગ નહીં હોય તો શું થશે?
જો કોઈ ગાડીમાં FASTag નહીં હોય, તો હાઇ-રેઝોલ્યુશન કેમેરા ગાડીની નંબર પ્લેટ સ્કેન કરી લેશે. આ આધારે ડિજિટલ ઇન્વોઇસ જનરેટ થશે અને ભવિષ્યમાં તેની પાસેથી દંડ સાથે વસૂલાત કરવામાં આવશે. ગાડી ગમે તેટલી સ્પીડમાં પસાર થાય, સેકન્ડોમાં જ ડેટા સેન્ટ્રલ સર્વર પર જશે અને વેરિફિકેશન થઈ જશે.
મોટા ફાયદાઓ અને ભવિષ્યનું લક્ષ્ય
વાહનચાલકો હવે ટોલ પ્લાઝા પર રોકાયા વગર 80 કિમી/કલાકની ઝડપે પસાર થઈ શકશે. NHAIના અંદાજ મુજબ આ સિસ્ટમથી દેશમાં વાર્ષિક 1,500 કરોડ રૂપિયાના બળતણની બચત થશે. કામરેજ અને ચોર્યાસી જેવા વ્યસ્ત ટોલ પ્લાઝા પર જોવા મળતા ટ્રાફિક જામની સમસ્યા હવે ભૂતકાળ બનશે.
ભારત સરકાર વર્ષ 2026ના અંત સુધીમાં દેશના 1050થી વધુ ટોલ પ્લાઝાને આ AI બેઝ્ડ 'મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ'થી સજ્જ કરવાની યોજના ધરાવે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયની આ પહેલથી મુસાફરી વધુ સુવિધાજનક બનવાની સાથે પર્યાવરણ અને દેશની અર્થવ્યવસ્થાને પણ મોટો ફાયદો થશે.


