Sanedo Vehicle Assistance: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ઉત્પાદનોના ઝડપી પરિવહન માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કિસાન પરિવહન યોજના હેઠળ ‘સનેડો’ તરીકે ઓળખાતા'રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર' કૃષિ સાધનની ખરીદી માટે ખેડૂતોને આપવામાં આવતી સહાયમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
પહેલા કેટલી મળતી હતી સહાય?
સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ મલ્ટીપર્પઝ કામો માટે 'સનેડો' નામના ત્રિ-ચક્રી કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો અને વિવિધ સ્તરેથી મળેલી રજૂઆતોને વાચા આપીને રાજ્ય સરકારે સનેડાની ખરીદી માટે મળતી રૂ. 25,000ની સહાયમાં વધારો કર્યો છે.
સહાયમાં કેટલો વધારો?
હવે રાજ્યના સામાન્ય વર્ગના ખેડૂતોને સનેડાની ખરીદી માટે કુલ ખર્ચના 40 ટકા અથવા મહત્તમ રૂ. 60,000ની સહાય મળશે. જ્યારે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂતોને સનેડાની ખરીદી પર કુલ ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. 75,000ની સહાય મળશે
નિયમો પણ કડક કરાયા
અત્રે નોંધનીય છે કે, ખેડૂતો આ સહાય સાત વર્ષમાં માત્ર એકવાર મેળવી શકશે. ખરીદેલું સાધન ભારત સરકારની સંસ્થા દ્વારા ટેસ્ટેડ અને i-Khedut પોર્ટલ પર નોંધાયેલું હોવું ફરજિયાત છે. આ વાહનનો ઉપયોગ માત્ર કૃષિ પેદાશોના પરિવહન માટે જ કરવાનો રહેશે. વાહન ખરીદ્યા બાદ આગામી 2 વર્ષ સુધી તેનું વેચાણ કરી શકાશે નહીં, તેમજ તેમાં પેસેન્જર પરિવહન માટે કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
આ પણ વાંચો: હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ
આ નિર્ણયથી કૃષિ ઉત્પાદનોને બજાર સુધી સમયસર પહોંચાડવામાં સરળતા રહેશે, પરિવહન પાછળ થતો ખર્ચ ઘટશે અને અંતરિયાળ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે.


