Get The App

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર 1 - image

New procedure for land acquisition Non-Agricultural: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન હેઠળ આવરી લેવાતી જમીનો અને NA પ્રક્રિયાને લઈને એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અવારનવાર એવું જોવા મળે છે કે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન જ જમીન મહેસૂલ કાયદાની કલમ-65 હેઠળ જમીનને બિનખેતી (NA) કરાવી લેવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે સરકારી પ્રોજેક્ટ્સ પર વિપરીત અસર પડે છે અને જમીન સંપાદન કરતી સંસ્થા પર બિનજરૂરી મોટો નાણાકીય બોજ આવી પડે છે. આવી પરિસ્થિતિઓને અટકાવવા માટે સરકાર દ્વારા હવે કલમ-65 હેઠળ બિનખેતી પરવાનગી આપવા માટેની એક નવી જ કાર્યપ્રણાલી નક્કી કરવામાં આવી છે. 

બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી

1: ગામોની યાદી સોંપવી

પ્રોજેક્ટ માટે સંપાદક સંસ્થા જ્યારે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરી રહી હોય તેવા પ્રાથમિક તબક્કે જ, યોજનામાં સંભવિત રીતે સમાવિષ્ટ થનારા તમામ ગામોની યાદી જે-તે જિલ્લા કલેક્ટરને સોંપવાની રહેશે.

2: 60 દિવસ માટે કામગીરી સ્થગિત

કલેક્ટરને આ યાદી મળ્યા બાદ, તે ગામોમાં બિનખેતી (NA)ની મંજૂરી આપવાની પ્રક્રિયાને તાત્કાલિક ધોરણે 60 દિવસ માટે સ્થગિત (Freeze) કરી દેવામાં આવશે.

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર 2 - image

3: સર્વે નંબરની ઓળખ અને ફ્રીઝિંગ

આ 60 દિવસના સમયગાળા દરમિયાન સંપાદન કરવાપાત્ર સંભવિત સર્વે નંબરોની ઓળખ કરવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ, માત્ર સંપાદન હેઠળ આવતા સર્વે નંબરો માટે જ બિનખેતીની મંજૂરી સ્થગિત રહેશે, જ્યારે ગામના અન્ય સર્વે નંબરો માટે બિનખેતીની પ્રક્રિયા સામાન્ય રીતે ચાલુ કરી શકાશે.

4: 1 વર્ષ માટે પ્રક્રિયા સ્થગિત

પ્રોજેક્ટનું અલાઈન્મેન્ટ અથવા યોજના ફાઈનલ થઈ ગયા બાદ, સંપાદક સંસ્થાએ સંપાદન કરવાપાત્ર આખરી સર્વે નંબરની યાદી કલેક્ટરને આપવાની રહેશે. ત્યારબાદ આવા ચોક્કસ સર્વે નંબરો માટે બિનખેતીની કાર્યવાહી 1 વર્ષ સુધી સ્થગિત રાખવામાં આવશે, જેથી સંપાદક સંસ્થા જમીન સંપાદન સંબંધિત અન્ય મંજૂરીઓ અને દરખાસ્તની પ્રક્રિયા કોઈપણ અડચણ વગર પૂરી કરી શકે.

આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: જામીન મળ્યા બાદ તથ્ય પટેલ આજે જેલમાંથી બહાર આવ્યો, સવાલો પૂછતાં મૌન સેવ્યું

સોફ્ટવેરમાં કરાશે ફેરફાર

આ નવી ઓનલાઈન સિસ્ટમ અને કાર્યપ્રણાલીના ચોક્કસ અમલીકરણ માટે સ્ટેટ મોનીટરીંગ સેલ (S.M.C.) દ્વારા N.I.C. મારફત સરકારી સોફ્ટવેરમાં જરૂરી સુધારા-વધારા કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.