Get The App

હિંમતનગર: રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ, કઠવાડિયા ગામે 15 લોકોના ટોળાએ કરી યુવકની હત્યા

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
હિંમતનગર: રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ, કઠવાડિયા ગામે 15 લોકોના ટોળાએ કરી યુવકની હત્યા 1 - image

Sabarkantha Crime News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ખેતરના રસ્તા જેવી નજીવી બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂની અદાવત અને રસ્તાના પ્રશ્ને એક યુવક પર 15 જેટલા શખસોના ટોળાએ હુમલો કરી તેની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેતરના રસ્તા માટે રચાયું ખૂની કાવતરું

મળતી માહિતી અનુસાર, મૃતક ધર્મેન્દ્ર સિંહ ઝાલા અને હુમલાખોરો વચ્ચે ખેતરના રસ્તાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદની અદાવતમાં 15 જેટલા શખસોના ટોળાએ ધર્મેન્દ્ર સિંહને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ પૂર્વાયોજિત કાવતરા મુજબ ધર્મેન્દ્ર સિંહ પર હિંસક હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ત્રણ શખસોએ ધર્મેન્દ્ર સિંહ પર તીક્ષ્ણ ચપ્પા વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

લોહીલુહાણ હાલતમાં યુવક જ્યારે જમીન પર ઢળી પડ્યો, ત્યારે પણ હુમલાખોરોની નફરત શાંત થઈ નહોતી. ચપ્પાના ઘા માર્યા બાદ બે મહિલાઓએ અત્યંત ક્રૂરતા દાખવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકના માથાના ભાગે પથ્થરોના ઘા માર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો

પોલીસની કાર્યવાહી

આ ઘટનાની જાણ થતા જ હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો કઠવાડીયા ગામે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી 15 જેટલા શખસો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.