Student Attack In Ahmedabad: અમદાવાદના બાપુનગરરમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ધોરણ 11માં અભ્યાસ કરતા બે સહાધ્યાયીઓ વચ્ચે થયેલી આ ઝઘડાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં ભોગ બનનાર ફરિયાદી 17 વર્ષીય વિધાર્થી છે, જે બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં આવેલ શુકલેશ્વર મહાદેવ મંદિર નજીક રહે છે અને વિધાર્થી ભગવતી વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ વિધાર્થી જ્યારે ટ્યુશન ક્લાસમાં હતો ત્યારે તેની જ સ્કૂલમાં અલગ ક્લાસમાં ભણતા અન્ય વિધાર્થીએ સાથે બેસવાની જગ્યા બાબતે વિવાદ થયો હતો.
15મી માર્ચ 2026ના રોજ પીડિત વિધાર્થી જ્યારે ટ્યુશન ક્લાસમાં હતો, ત્યારે અન્ય એક વિદ્યાર્થી ત્યાં આવ્યો હતો. ક્લાસરૂમમાં જગ્યા ન હોવાથી પીડિત વિધાર્થીએ તેને બીજા રૂમમાં બેસવા માટે કહ્યું હતું, જેનાથી ઉશ્કેરાઈને વિદ્યાર્થી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ બપોરના આશરે સવા એક વાગ્યે જ્યારે પીડિત વિધાર્થી હીરાવાડીમાં ભોમિયા ડેરી પાસે ઉભો હતો. ત્યારે અન્ય વિદ્યાર્થી ત્યાં પહોંચ્યો હતો. ટ્યુશનમાં થયેલી બોલાચાલીની અદાવત રાખી તેણે કમરના ભાગેથી છરો કાઢી વિધાર્થીના પેટના ડાબા ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિધાર્થીને તેના મિત્ર રિક્ષામાં સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
આરોપી સગીરની પોલીસે પૂછપરછ કરી
એચ. ડિવિઝન ઇન્ચાર્જ એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, 'આરોપી સગીર ક્યાંથી છરી લાવ્યો હતો તેની માતા-પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે. ટ્યુશન કલાસીસના સંચાલક અને અન્ય વિદ્યાથીઓની પૂછપરછ કરતાં તેઓ વચ્ચે 15મી માર્ચના રોજ પહેલી વખત જ મારામારી થઈ હતી. ટ્યુશન ક્લાસીસ અને તેની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓની વધારે પૂછપરછ કરી અગાઉ આ બાબતે ઝઘડો થયો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવશે.' હાલ આ મામલે ગુનો નોંધી સગીરને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.


