Gir Lion Virus: ગીરના એશિયાઈ સિંહોના સ્વાસ્થ્ય પર તોળાઈ રહેલું મોટું સંકટ હવે ધીમે-ધીમે ટળી રહ્યું છે. ગીરમાં તાજેતરમાં ફેલાયેલા વાઈરસ સંક્રમણને લઈને રાજ્ય સરકાર અને વન વિભાગ એક્શન મોડમાં આવ્યા છે. વન વિભાગ દ્વારા લેવાયેલા અસરકારક પગલાંને કારણે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ આવી ગઈ છે, અને સૌથી રાહતના સમાચાર એ છે કે છેલ્લા ત્રણ દિવસમાં સંક્રમણના કારણે એક પણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્ય સરકાર આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવી રહી છે, જે અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતે ગીરના અસરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો પર મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે.
વન મંત્રીએ રેસ્ક્યુ અને એનિમલ કેર સેન્ટરોનું કર્યું બારીકાઈથી નિરીક્ષણ
સિંહોના સ્વાસ્થ્યની વાસ્તવિક સ્થિતિ અને વન વિભાગની સજ્જતા જાણવા માટે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગીરના વિવિધ સંવેદનશીલ કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી હતી, જેમાં મુખ્યત્વે જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે આઈસોલેશન રાખવામાં આવેલા સિંહોની સારવાર, ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ, દવાઓનો જથ્થો અને વાઈરસને આગળ વધતો અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
ડૉક્ટર્સની સ્પેશિયલ ટીમ સાથે બેઠક અને આગામી વ્યુહરચના
નિરીક્ષણ બાદ વન મંત્રીએ ત્યાં હાજર ઉચ્ચ વન સંરક્ષકો (CF), વન અધિકારીઓ અને વેટરનરી ડૉક્ટર્સની સ્પેશિયલ ટીમ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સિંહોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા, વન વિસ્તારમાં સઘન ટ્રેકિંગ કરવા અને વાઈરસના ચોક્કસ સોર્સને નાબૂદ કરવા માટેની આગળની વ્યૂહનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અમે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી: અર્જુન મોઢવાડિયા
સિંહોની સુરક્ષા અંગે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, 'વન વિભાગ અને રાજ્ય સરકાર ગીરની શાન એવા એશિયાઈ સિંહોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. વન કર્મચારીઓ અને તબીબોની રાત-દિવસની મહેનતના કારણે અત્યારે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. સિંહ રિકવર થઈ રહ્યા છે, છતાં પણ વન્યજીવોના સ્વાસ્થ્ય બાબતે અમે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા કે સહેજ પણ જોખમ લેવા માંગતા નથી અને આગામી દિવસોમાં પણ કડક મોનિટરિંગ ચાલુ રહેશે.' વન વિભાગના આ સઘન ઓપરેશન અને મોનિટરિંગને કારણે વન્યજીવ પ્રેમીઓએ પણ મોટી રાહત અનુભવી છે.


