Amreli News: અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે આવેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાને પગલે હોસ્પિટલ સામે રોષ જોવા મળ્યો હતો.
જાણો શું છે મામલો
બોટાદ જિલ્લાના ટાટમ ગામના વતની ભનીબેન મણદુરિયા નામના મહિલાને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ઓપરેશન બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પરિવારનો આરોપ છે કે તબીબોની બેદરકારીને કારણે ભનીબેનનું મોત નીપજ્યું છે.
ઘટનાની જાણ થતા જ કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી.
હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા પરિવારને ખાતરી આપવામાં આવી છે કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે. પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. જો કોઈની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.


