Get The App

AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ 1 - image


Ahmedabad Lakes Encroachment: અમદાવાદમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરી બારેમાસ પાણીથી ભરેલા રાખવાની ગુલબાંગ પોકળ પુરવાર થઈ છે. શહેરના નારોલ,લાંભા અને વટવા અને ઈસનપુર વોર્ડમાં આવેલા સોળ તળાવમાં 2681 દબાણો છે. જેમાં રહેણાંક મકાનો ઉપરાંત કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એકમની સાથે ગોડાઉન અને ધાર્મિક સ્થાન આવેલા છે. નોંધપાત્ર બાબત એ છે કે આ સોળ તળાવ પૈકી દસ તળાવનુ મ્યુનિસિપલ કોર્પોરેશને પઝેશન લઈ લીધુ  હોવાછતાં વોટરબોડીના દબાણ દુર કરવામા એસ્ટેટ વિભાગ સદંતર નિષ્ફળ નિવડ્યું છે.

કોર્પોરેશન વોટરબોડીના દબાણ દુર કરવામા નિષ્ફળ

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શહેરમા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તેમજ જે વિસ્તારોમા વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. તેના નિવારણ માટે શહેરના વિવિધ વોર્ડમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરવાની બાબતમા અનેક વખત તંત્ર અને શાસકપક્ષ તરફથી મોટી મોટી જાહેરાતો કરવામા આવી. પરંતુ રાજ્ય સરકાર કે કલેક્ટર તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને જે તળાવો ડેવલપ કરવા આપવામા આવ્યા છે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં કોઈ રસ બતાવવામા ના આવ્યો. અપવાદરુપે ચંડોળા તળાવનુ બહુ ગાજેલુ ડિમોલીશન અને અન્ય એક કે બે તળાવની આસપાસના દબાણો દુર કરવા રાજકીય દબાણ તંત્રના અધિકારીઓ કે, ભાજપના હોદ્દેદારો ઉપર લાવવામા આવ્યુ એટલે વોટરબોડીના દબાણ દુર કરવામા આવ્યા હતા. 

આ પણ વાંચો: ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગાઠૈયા

નારોલ, વટવા અને લાંભા કે ઈસનપુર વોર્ડમા તો પે એન્ડ યુઝ ટોઈલેટ પણ કોર્પોરેશને બાંધી દીધા છે આથી મોટી બેદરકારી તંત્રની કઈ હોઈ શકે. આ 16 તળાવ ઉપર વર્ષોથી 2509 રહેણાંક મકાન, 114 દુકાન, 8 ગોડાઉન, 36 ઈન્ડસ્ટ્રીયલ એકમ તથા 2 ધાર્મિક સ્થાન અને બે પે એન્ડ યુઝના બાંધકામો થયેલા છે. આમછતાં ત્યાંના કોર્પોરેટરોના ધ્યાનમા આ બાબત ના હોય એમ બને જ નહીં.

AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ 2 - image

તળાવ ઈન્ટરલિંકીંગના કરોડોના આયોજન મંથરગતિએ

વટવા તળાવને 13 કરોડ રૂપિયા, હાથીજણ ગામ તળાવને અંદાજે 4.28 કરોડ રૂપિયા, અસલાલી તળાવને અંદાજે રુપિયા 4.88 કરોડ રૂપિયાના ખર્ચથી આસપાસના તળાવ સાથે ઈન્ટરલિંક કરવાની કામગીરી દબાણો દુર નહીં થવાના કારણે મંથરગતિએ ચાલતી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.