Ahmedabad News: અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી સ્ટેટમાં આજે શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બપોરે આશરે 12:56 વાગ્યે ગોડાઉન નંબર 55માં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગ લાગવાના કારણે કેમિકલના ગોડાઉનમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસના ઔદ્યોગિક એકમો અને ત્યાં કામ કરતા શ્રમિકોમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
પાણીનો મારો ચલાવી કૂલિંગ ઓપરેશન
આગની ઘટના અંગેની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ વધુ પ્રસરે નહીં અને આજુબાજુના અન્ય ગોડાઉનો તેની ઝપેટમાં ન આવે તે માટે અસલાલી મિની ફાયર ટેન્ડર અને અસલાલી ગજરાજ વાહન સહિતના ફાયર ફાઈટરોને તાબડતોબ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી કૂલિંગ ઓપરેશન શરૂ કર્યું હતું.
કોઈ જાનહાનિના સમાચાર નહીં, માલસામાનને મોટું નુકસાન
સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. જો કે, ગોડાઉનમાં રાખેલા કેમિકલના જથ્થાને કારણે આગની તીવ્રતા વધુ હોવાથી ફાયર વિભાગના કર્મચારીઓએ સાવચેતીના ભાગરૂપે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કેમિકલ રિએક્શન અથવા સ્ટોરેજ સંબંધિત ખામીને કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.


