Get The App

ગુજરાતમાં 'પારદર્શક ભરતી'ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી મેળવી

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં 'પારદર્શક ભરતી'ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી મેળવી 1 - image

Bogus Certificates Government Job: ગુજરાતમાં બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓ મેળવવાનું વધુ એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના એક પરિવારે ખોટી રીતે આદિવાસી (ST) પ્રમાણપત્રો મેળવી સરકારી નોકરીઓ પચાવી પાડી હોવાનો ખુલાસો સત્તાવાર દસ્તાવેજો દ્વારા થયો છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ગામના આધારે આ પ્રમાણપત્રો મેળવાયા છે, ત્યાં આદિવાસી સમાજની વસ્તી જ શૂન્ય છે. સૌથી આઘાતજનક વાત એ છે કે બે સગાભાઈએ સરકારી નોકરી મેળવી છે જેમાં એક ભાઈએ ST અનામત તો બીજાએ OBC અનામતને આધારે નોકરી મેળવી છે.

વસ્તી ગણતરીના ડેટા અને દસ્તાવેજોથી થયો ખુલાસો

સમગ્ર મામલો વાંકાનેર તાલુકાના વસુંધરા ગામનો છે. ભારત સરકારના સત્તાવાર સેન્સસ (વસ્તી ગણતરી) ડેટા અનુસાર, વસુંધરા ગામમાં આદિવાસી (ST) સમાજની વસ્તી શૂન્ય છે. જાહેર થયેલા પુરાવા મુજબ, આ ગામના વતની નવઘણ રેવાભાઈ સરસૈયાએ તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં 'ST' (અનુસૂચિત જનજાતિ) કેટેગરી હેઠળ જુનિયર ક્લાર્કની નોકરી મેળવી છે.

કેવી રીતે બોગસ સર્ટીનો કર્યો ઉપયોગ

જો કે, રજૂ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે નવઘણ સરસૈયાના વર્ષ 2015ના શાળાના લિવિંગ સર્ટિફિકેટ અને તેમના પિતા રેવાભાઈના જૂના રેકોર્ડમાં તેમની જ્ઞાતિ સ્પષ્ટપણે 'હિન્દુ ભરવાડ' (OBC) દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં, જૂન 2025માં વાંકાનેરના તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા નવઘણને OBC (નોન-ક્રિમીલેયર) પ્રમાણપત્ર પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેના માટે તેમના પિતાએ સોગંદનામું કર્યું હતું. આમ છતાં, તેના માત્ર એક મહિના બાદ એટલે કે જુલાઈ 2025માં AMCની નોકરી મેળવવા માટે નવઘણે પોતે આદિવાસી હોવાનો દાવો કર્યો હતો.

ગુજરાતમાં 'પારદર્શક ભરતી'ના દાવા પર તમાચો, બે સગા ભાઈમાંથી એકે ST તો બીજાએ OBC અનામતથી સરકારી નોકરી મેળવી 2 - image

બંને ભાઈઓની સંડોવણી, માત્ર 24 કલાકમાં પ્રમાણપત્ર મંજૂર

આ કૌભાંડમાં નવઘણના મોટા ભાઈ હરેશ સરસૈયાની સંડોવણી પણ સામે આવી છે. હરેશ વર્ષ 2015માં OBC કેટેગરીના મેરિટના આધારે રેવન્યુ તલાટી બન્યો હતો. 'ડિજિટલ ગુજરાત'ના રેકોર્ડ મુજબ, બંને ભાઈઓએ 25 સપ્ટેમ્બર 2017ના રોજ વાંકાનેર મામલતદાર કચેરીમાં ST પ્રમાણપત્ર માટે એકસાથે અરજી કરી હતી, જે શંકાસ્પદ રીતે માત્ર 24 કલાકમાં મંજૂર કરી દેવામાં આવી હતી.

કડક કાર્યવાહી અને આંદોલનની ચીમકી

માત્ર 24 કલાકમાં જ્ઞાતિનું પ્રમાણપત્ર બદલાઈ જતાં સરકારી તંત્રની મિલીભગત સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ છેતરપિંડી બદલ જવાબદાર પરિવાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ તાત્કાલિક FIR દાખલ કરવા, નવઘણ સરસૈયાને AMCની નોકરીમાંથી બરતરફ કરી અત્યાર સુધી ચૂકવાયેલો પગાર વસૂલવા અને રેવન્યુ તલાટી હરેશ સરસૈયાને સેવામાંથી બરતરફ કરવાની માંગ ઉઠી છે. યુવા સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.