અમદાવાદ: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Gas Scam: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે દેશમાં ઊભા થયેલા LPG સંકટ વચ્ચે અમદાવાદમાં ગેસના કાળાબજારનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આનંદનગર પોલીસે વ્રજનગરી ઔડા આવાસ પાસે જાહેરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા એક શખસને ઝડપી પાડી કુલ 1.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગ્રાહકોના ગેસની ચોરી કરી કરાતા હતા કાળાબજાર
મળતી માહિતી મુજબ, શનિવારે (21મી માર્ચ) સવારે વ્રજનગરી આવાસ પાસે બે લોડિંગ રિક્ષાઓ શંકાસ્પદ હાલતમાં ઉભેલી જોવા મળી હતી. પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી મહેશ ચૌહાણ ગેસએજન્સીમાંથી ગ્રાહકોને વિતરણ કરવા માટે નીકળેલી બોટલોમાંથી ગેસની ચોરી કરતો હતો. તે ભરેલા સિલિન્ડરમાંથી ગેસ કાઢી ખાલી બાટલાઓમાં ભરીને તેને બારોબાર ઊંચા ભાવે વેચી દેવાનું કૌભાંડ આચરતો હતો.
આનંદનગર પોલીસે સ્થળ પરથી 65 LPG સિલિન્ડર, જેમાં 55 ડોમેસ્ટિક (ઘરગથ્થુ) અને 10 કોમર્શિયલ બોટલોનો સમાવેશ થાય છે. ગેસની હેરાફેરી માટે વપરાતી 2 લોડિંગ રિક્ષા અને રિફિલિંગ સાધનો જપ્ત કર્યા હતા.
LPG અછતનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ
યુદ્ધને કારણે હાલમાં ગેસ એજન્સીઓ પર લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે આવા સમયે કાળાબજારિયાઓ સક્રિય થયા છે. આરોપી ગ્રાહકોને પૂરો ગેસ આપવાને બદલે રસ્તામાં જ ગેસ કાઢી લેતો હતો, જેનાથી ગ્રાહકોને આર્થિક નુકસાનની સાથે જોખમ પણ રહેતું હતું. હાલ પોલીસે આરોપી મહેશ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








