- કાંતારાની મીમીક્રીના વિવાદમાં કોર્ટે રણવીરને ઝાટક્યો
- જોકે, રણવીર સામે કોઈ પગલાં નહિ લેવા જણાવી રાહત પણ આપી : હવે આવતાં સપ્તાહે વધુ સુનાવણી
મુંબઇ : તમે રણવીર સિંહ હો કે ગમે તે હો પરંતુ તેથી તમને કોઈની લાગણી દૂભાવવાની કે ગમે તેમ વર્તવાની છૂટ નથી મળી જતી. તમારે જવાબદાર રીતે વર્તવું જોઈએ એમ કહી કર્ણાટક હાઈકોર્ટે 'કાંતારા ચેપ્ટર વન' ફિલ્મના દેવતાની મીમીક્રી કરવાના વિવાદમાં થયેલી ફરિયાદ સંદર્ભમાં રણવીર સિંહની આકરી ઝાટકણી કાઢી હતી.
જોકે, હાઈકોર્ટે રણવીરને વચગાળાની રાહત પણ આપી હતી. તેમણે કર્ણાટક સરકારને હાલ તુરત રણવીર સામે કોઈ દંડનાત્મક કાર્યવાહી નહીં કરવાની સૂચના પણ આપી હતી. અદાલતે આ કેસમાં વધુ સુનાવણી તા. બીજી માર્ચ પર મુલત્વી રાખી છે.
કેસની સુનાવણી વખતે કર્ણાટક સરકારે એવી પણ દલીલ કરી હતી કે રણવીર સિંહની પત્ની દીપિકા તો મૂળ કર્ણાટકની જ છે. આથી તેને સ્થાનિક લાગણીઓનો ખ્યાલ હોવો જોઈતો હતો.
ગોવામાં ગઈ તા. ૨૮મી નવેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન રણવીર સિંહે 'કાંતારા ચેપ્ટર વન' ફિલ્મમાંથી દેવતાની મીમીક્રી કરતાં કર્ણાટકમાં ભારે વિરોધ થયો હતો. રણવીર સામે એફઆઈઆર પણ થઈ હતી. રણવીરે આ એફઆઈઆર રદ કરાવવા માટે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે.
રણવીરે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેનો ઈરાદો કોઈની લાગણી દૂભવવાનો ન હતો પરંતુ તે તો અભિનેતા ઋષભ શેટ્ટીનાં પરફોર્મન્સની પ્રશંસા કરી રહ્યો હતો. જોકે, કોર્ટ આ દલીલ સાથે સંમત થઈ ન હતી. અદાલતે જણાવ્યું હતું કે એક સુપરસ્ટાર તરીકે તમારા લાખો ચાહકો હોય છે. તમે આવી બિનસંવેદનશીલ રીતે વર્તી શકો નહિ. લોકો કદાચ આ વાત ભૂલી જશે પરંતુ ઈન્ટરનેટ પર તો તે કાયમ રહેશે.


