The Kerala Story 2 Release Date Postponed: વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી 2'ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ હાઈકોર્ટે ગુરુવાર, 26 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ બેચુ કુરિયન થોમસે આ મામલે સુનાવણી કરતા આદેશ આપ્યો છે કે, ફિલ્મ તેની નિર્ધારિત તારીખ એટલે કે 27 ફેબ્રુઆરીએ રિલીઝ કરી શકાશે નહીં. કોર્ટે સેન્સર બોર્ડ(CBFC)ની કાર્યપ્રણાલી પર પણ સવાલો ઉઠાવ્યા છે અને અવલોકન કર્યું છે કે સર્ટિફિકેટ આપવામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી.
કેરળની છબી ખરડાવવાનો આરોપ
આ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ કેરળ રાજ્યની છબીને અત્યંત નકારાત્મક રીતે રજૂ કરે છે. અરજીકર્તાઓના મતે, જો આ ફિલ્મ રિલીઝ થશે તો તેનાથી સામાજિક અને સાંપ્રદાયિક વાતાવરણ બગડી શકે છે. બાયોલોજિસ્ટ શ્રીદેવ નંબૂદરી દ્વારા કરવામાં આવેલી અરજી પર કાર્યવાહી કરતા કોર્ટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા ફિલ્મના પ્રોડ્યુસરને નોટિસ પાઠવી છે. કોર્ટે માન્યું કે અરજદારોની ચિંતાઓ વ્યાજબી હોઈ શકે છે અને હવે આ મામલે આગામી સુનાવણી બે અઠવાડિયા પછી હાથ ધરાશે.
ફિલ્મ મેકર્સને મોટો ઝટકો: રિલીઝમાં વિલંબ
બીજી તરફ, હાઈકોર્ટના આ આદેશથી ફિલ્મના મેકર્સને મોટો આંચકો લાગ્યો છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મની રિલીઝમાં હવે વિલંબ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મની ટીમ પાસે સમય ઓછો હોવાથી તેઓ આજે જ હાઈકોર્ટની મોટી બેન્ચ સમક્ષ સિંગલ જજની પીઠના આ આદેશને પડકારવા માટે અપીલ કરી શકે છે. પ્રોડ્યુસર્સે કોર્ટ પાસે વહેલી તકે વિગતવાર આદેશની માંગ કરી છે જેથી તેઓ કાયદાકીય લડત આગળ ધપાવી શકે.
આ પણ વાંચો: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ કર્યા તેલુગુ રીતરિવાજથી લગ્ન, હવે કન્નડ વિધિ પણ કરાશે
ટ્રેલર બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયો વિવાદ
કામાખ્યા નારાયણ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનો વિવાદ તેના ટ્રેલર રિલીઝ થયા પછી જ શરૂ થયો હતો, જેમાં હિન્દુ મહિલાઓના બળજબરીપૂર્વક ધર્માંતરણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ઘણા લોકો આ ફિલ્મને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેનો ટેકો કરી રહ્યા છે. હાલમાં તો પ્રેક્ષકોએ આ ફિલ્મ જોવા માટે નવી તારીખની રાહ જોવી પડશે.


