Sunil Pal on Samay Raina: કોમેડિયન સુનીલ પાલ હાલમાં જ નેટફ્લિક્સ પર આવતાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં હાજરી આપ્યા બાદ સતત ચર્ચામાં છે. શોમાં તેની સાથે બનેલી ઘટનાઓ પછી તે અનેક ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવ વિશે ખુલાસો કરી રહ્યો છે. ખાસ કરીને સમય રૈના દ્વારા કરાયેલા જોક્સ અને શોના જજો નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરન સિંહને લઈને તેમણે અનેક દાવા કર્યા છે.
સુનીલ પાલે અગાઉ જણાવ્યું હતું કે તેને શોમાં માત્ર સ્ટેન્ડઅપ કોમેડી માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ વાત સંપૂર્ણપણે અલગ નીકળી. તેનો આરોપ છે કે શોમાં જાણીજોઈને તેને નિશાન બનાવવામાં આવ્યો હતો અને તેમની મજાક વધુ પડતી ઉડાવવામાં આવી હતી.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુનીલ પાલને સમય રૈનાના “ટૂથબ્રશ” જોક વિશે પૂછવામાં આવ્યું હતું. શોમાં સમય રૈનાએ મજાકમાં કહ્યું હતું કે સુનીલ પાલ બ્રશ કરતા નથી. આ અંગે સુનીલ પાલે કહ્યું કે તેમને તે સમયે થોડું ખોટું લાગ્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ અગાઉ પણ ઘણી વખત કપિલ શર્માના શોમાં ગયા છે અને દર વખતે સ્ટેન્ડઅપ કર્યું હતું, પરંતુ આ વખતે તેની “ટાંગ ખેંચાઈ” કરવામાં આવી હતી.
સુનીલ પાલે કહ્યું કે કોમેડી શોમાં મજાક અને રોસ્ટિંગ સામાન્ય બાબત છે, પરંતુ તેની સાથે જે થયું તે થોડું વધારે હતું. જોકે તેણે એ પણ સ્વીકાર્યું કે શોમાં તેને સીધી રીતે અપમાન કરવામાં આવ્યું હોય એવું નહોતું લાગ્યું. જોકે થોડીવાર માટે તે અસહજ જરૂર થયો હતો.
આ વાતચીત દરમિયાન તેણે સમય રૈનાની શૈલી પર પણ નિશાન સાધ્યું હતું. સુનીલ પાલે ટિપ્પણી કરી કે જ્યાં તેના શોમાં લોકો આવે છે, ત્યાં સમય રૈનાના શોમાં પોલીસ આવે છે. તેમણે દાવો કર્યો કે જ્યારે તેણે સમય રૈનાને “આતંકવાદી” કહ્યું હતું ત્યારે ઘણા લોકો ખુશ થયા હતા.


