Get The App

‘વારાણસી’ની વાર્તા પરથી ઊંચકાયો પડદો: એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મમાં ભગવાન રામ અને કુંભકર્ણની પૌરાણિક લડાઈ પર આધારિત

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
‘વારાણસી’ની વાર્તા પરથી ઊંચકાયો પડદો: એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મમાં ભગવાન રામ અને કુંભકર્ણની પૌરાણિક લડાઈ પર આધારિત 1 - image

Varanasi Film Story: દિગ્ગજ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી અને સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વારાણસી’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મની વાર્તાને લઈને ફિલ્મના લેખક વિજયેન્દ્ર પ્રસાદે એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેના કારણે ફેન્સની ઉત્સુકતા આગામી સ્તર પર પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર આ ફિલ્મનો મુખ્ય આધાર ભગવાન રામ અને કુંભકર્ણ વચ્ચેના શક્તિશાળી સંઘર્ષ પર આધારિત હશે.

એસ.એસ. રાજામૌલીની ફિલ્મોને લઈને દર્શકોમાં હંમેશાં ભારે ક્રેઝ જોવા મળતો હોય છે, અને ‘વારાણસી’ માટે પણ કંઈક આવો જ માહોલ સર્જાયો છે. આ ફિલ્મને ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંની એક માનવામાં આવી રહી છે. હાલમાં જ એક વાતચીત દરમિયાન રાજામૌલીના પિતા અને જાણીતા લેખક વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મની વાર્તાનો રસપ્રદ સંકેત આપતા જણાવ્યું કે, ભગવાન રામ અને કુંભકર્ણ વચ્ચેની પૌરાણિક લડાઈ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર રહેશે.

પૌરાણિક વાર્તા પર આધારિત હશે પાત્રો

જોકે વિજયેન્દ્ર પ્રસાદે આનાથી વધુ વિગતો જાહેર કરી નથી, પરંતુ આ સંકેત પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફિલ્મનો બેઝ સંપૂર્ણપણે પૌરાણિક કથા પર ટકેલો છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં મહેશ બાબુ લીડ રોલમાં જોવા મળશે, જ્યારે પ્રિયંકા ચોપડા જોનસ, પૃથ્વીરાજ સુકુમારન અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજ કલાકારો મહત્ત્વની ભૂમિકામાં નજર આવશે. મળતી માહિતી મુજબ ફિલ્મમાં મહેશ બાબુ ભગવાન રામનું અથવા તો તેમને લગતું પાત્ર ભજવશે, જ્યારે સાઉથ સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન કુંભકર્ણ અથવા તો તેમના પર આધારીત પાત્રની દમદાર ભૂમિકામાં જોવા મળી શકે છે. આ ફિલ્મને પ્રભાસની 'કલ્કી'ની જેમ મોર્ડન ટચ આપવામાં આવ્યો હોય એવા ચાન્સ ઘણાં વધુ છે.

આ પણ વાંચો: આલિયા-રણબીર જેવા નેપો કિડ્સનું જીવન આઉટસાઈડર્સ કરતાં વધુ અઘરું! ઇમ્તિયાઝ અલીનો ચોંકાવનારો દાવો

આઈમેક્સ ફોર્મેટ અને ભવ્ય VFX સાથે શૂટિંગ ચાલુ

અહેવાલો અનુસાર ફિલ્મનું આશરે 50 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને મેકર્સ હવે તેના સૌથી મોટા એક્શન સીક્વન્સ પર કામ કરી રહ્યા છે. રાજામૌલીની ફિલ્મોની સૌથી મોટી ખાસિયત તેનો વિઝ્યુઅલ સ્કેલ અને અદભુત સ્ટોરીટેલિંગ રહી છે. ‘બાહુબલી’ અને ‘RRR’ જેવી ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ દર્શકોને ‘વારાણસી’ પાસેથી પણ કંઈક આવી જ ભવ્યતાની અપેક્ષા છે. આ જ કારણે ફિલ્મમાં ખૂબ જ મોટા પાયે વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેને ખાસ આઈમેક્સ ફોર્મેટમાં શૂટ કરવામાં આવી રહી છે.