Image : Instagram |
Pravina Deshpande death news : હિન્દી અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેત્રી પ્રવીણા દેશપાંડેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લાંબી લડાઈ લડ્યા બાદ 60 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી મનોરંજન જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા
મનોરંજન જગત માટે વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વરિષ્ઠ અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. પ્રવીણા દેશપાંડેએ માત્ર ફિલ્મોમાં જ નહીં પણ ટીવી સિરિયલો અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
સોશિયલ મીડિયા પર અપાઈ માહિતી
પ્રવીણા દેશપાંડેના નિધનની જાણકારી તેમના પરિવારે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ, તેમને 2019માં બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. ગંભીર બીમારી અને સારવાર ચાલતી હોવા છતાં તેમણે ક્યારેય હિંમત હારી નહોતી અને કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર અંધેરી પૂર્વમાં કરવામાં આવ્યા હતા. 'CINTAA' (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન) એ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
યાદગાર ફિલ્મો અને ટીવી કારકિર્દી
પ્રવીણા દેશપાંડેએ હિન્દી અને મરાઠી સિનેમામાં અનેક દાયકાઓ સુધી કામ કર્યું હતું. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ 'રેડી' માં તેમનું પાત્ર ખૂબ જાણીતું થયું હતું. આ ઉપરાંત તેમણે સિદ્ધાર્થ મલ્હોત્રાની 'એક વિલન', જોન અબ્રાહમની 'પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ' અને 'જલેબી' જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.
લોકપ્રિય સીરિયલોમાં પણ કામ કર્યું હતું
ટીવીની દુનિયામાં તેઓ ઘરે-ઘરે જાણીતો ચહેરો હતા. તેમણે 'ઘર એક મંદિર', 'કુમકુમ- એક પ્યારા સા બંધન', 'કરમ અપના અપના' અને 'કુલ્ફી કુમાર બાજેવાલા' જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું હતું. તેઓ છેલ્લે ઈમરાન હાશ્મી સ્ટારર લોકપ્રિય વેબ સિરીઝ 'તસ્કરી' માં જોવા મળ્યા હતા.


