- તમારું કોઈ સ્વજન બીમાર હોય તો આમ વર્તશો?
- મધરાતે ખખડાવ્યા બાદ અનેક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ ગુસ્સો વ્યક્ત કર્યો
મુંબઇ : મુંબઈમાં એક ખાનગી હોસ્પિટલની બહાર સલમાન ખાનને જોઈ પાપારાઝીઓેએ તેને કેમેરા સામે પોઝ આપવા બૂમો પાડતાં સલમાન ઉશ્કેરાયો હતો. તેણે મીડિયાકર્મીઓને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા. બાદમાં, સલમાને મોડી રાતે એકથી વધુ સોશિયલ મીડિયા પોસ્ટસ દ્વારા પણ પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો હતો.
સલમાને કેમેરાપર્સન્સને ખખડાવતાં કહ્યું હતું કે તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું ? જો તમારા પરિવારની કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં હોત તો શું તમારું વર્તન આવું જ હોત ? સલમાનનો ગુસ્સો જોઈ ડઘાઈ ગયેલા પાપારાઝીઓએ માફી માગી ત્યાંથી ચાલતી પકડી હતી.
સલમાને બાદમાં સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે મીડિયાકર્મીઓને રોજીરોજી મળતી રહે તે માટે હંમેશાં હું સહકાર આપું છું. પરંતુ, કોઈની અંગત પળોને આ રીતે કમાણીનું સાધન બનાવી દેવાય તે અયોગ્ય છે. કોઈએ મારાં દર્દની મજા લેવી જોઈએ નહિ. સલમાને કહ્યું હતું કે ભલે હું ૬૦ વર્ષનો થયો હોઉં તો પણ મારો મિજાજ એવો જ છે. પાછલા કેટલાક મહિનાઓમાં પાપારાઝીઓ તથા બોલિવુડ સ્ટાર્સ વચ્ચે ઘર્ષણના એકથી વધુ બનાવો બન્યા છે. સ્વ. ધર્મેન્દ્રની બીમારી તથા અવસાન વખતે પણ સની દેઓલ અને પાપારાઝીઓ વચ્ચે ઝગડો થયો હતો.


