Rajpal Yadav’s Lawyer Claims : રાજપાલ યાદવ વચગાળાના જામીન પર બહાર છે. રાજપાલ સામે ચેક બાઉન્સ અને લોનની ચૂકવણી ન કરવાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેલમાં જતાં પહેલા રાજપાલનો ભાવુક વીડિયો વાઈરલ થયો ત્યારે આ કેસ નજરમાં આવ્યો હતો. આ કેસને લઈને કેટલીક અપડેટ્સ સામે આવી રહી છે. જેમાં રાજપાલના વકીલ ભાસ્કર ઉપાધ્યાયએ કેસથી જોડાયેલી કેટલીક વાત શેર કરી છે. તેમણે આરોપી લગાવ્યો હતો કે, રાજપાલ યાદવને લોન આપનારા માધવ ગોપાલ અગ્રવાલને અમિતાભ બચ્ચન સાથે બેસવા ન મળતાં તેઓ ગુસ્સે થયા હતા.
રાજપાલના વકીલે કહ્યું કે, 'સપ્ટેમ્બર મહિનામાં અમિતાભ બચ્ચન ફિલ્મ લોન્ચ માટે આવ્યા હતા અને માધવ અગ્રવાલ બચ્ચન સાથે સ્ટેજ શેર કરવા ઈચ્છતા હતા. જોકે, રાજપાલ યાદવની ટીમે ના પાડી દીધી હતી. પરંતુ માધવ અગ્રવાલને આ વાતનું ખોટું લાગ્યું હતું. પછી, સપ્ટેમ્બર, 2012 તેઓ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યા અને એગ્રીમેન્ટ પ્રમાણે પૈસાની ચૂકવણી સુધી ફિલ્મ પર સ્ટેની માંગણી કરી હતી. કેસ ડિસેમ્બર, 2012 સુધી ચાલ્યો, જેમાં 60,60,350 રૂપિયાનો ચેક ડિપોજિટ કરવામાં આવ્યો.'
વકીલે આપી કેસની સમગ્ર માહિતી
વધુમાં વકીલે જણાવ્યું કે, અંતે માધવે ફિલ્મ પરથી સ્ટે હટાવવાને લઈને એક સોગંદનામું રજૂ કર્યુ અને બંને પક્ષે વર્ષ 2013માં એક સહમતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 2016માં નવો કરાર થયો હતો. આ પ્રમાણે રૂ.10.40 કરોડ રકમ બાકી હતી. ફરિયાદીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા કે જો તેને પૈસા ચૂકવવામાં આવશે, તો જૂનો કરાર ફરી શરૂ કરવામાં આવશે નહીં. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, કાનૂની કાર્યવાહી દ્વારા પૈસા વસૂલ કરવા જોઈએ.
રાજપાલે પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકવાનો કર્યો હતો પ્રયત્ન
વર્ષ 2016માં ચૂકવણી માટે અરજી કરવામાં આવી હતી અને ફરિયાદીને 1.90 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બાકીના પૈસા માટે બીજા ગેરંટર મિસ્ટર અનંત દત્તારામ આવ્યા હતા. વકીલે જણાવ્યું કે, રાજપાલ યાદવે માધવ અગ્રવાલને પોતાની 15 કરોડની પ્રોપર્ટી જામીન તરીકે રાખવા કહ્યું અને બાકીની રકમ એક મહિનામાં પરત કરવાની છૂટ માંગી હતી. જોકે, ફરિયાદીએ આ ઓફર ઠૂકરાવી હતી અને રાજપાલને જેલ મોકલવાનો નિર્ણય કરી લીધો હતો.
જ્યારે માર્ચ 2018માં જૂના કરારના આધારે ટ્રાયલ કોર્ટે રાજપાલને દોષિત જાહેર કર્યો અને 11.5 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ત્યારબાદ, નવેમ્બર 2018માં એક્ઝિક્યુશન કોર્ટે રાજપાલને કાર્યવાહીના સમાન કારણના આધારે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી.
આ પણ વાંચો: Watch: જેલથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવ મનમૂકીને નાચ્યો, વીડિયો થયો વાઈરલ
રાજપાલની ટીમે વર્ષ 2019માં આ આદેશને રિવિઝન કોર્ટમાં પડકાર્યો. આ સમયે તેમના તરફથી નવા વકીલની નિયુક્તિ કરવામાં આવી, જેના દ્વારા મોટી ચૂક થઈ હતી. રાજપાલના વકીલે જણાવ્યું કે, નવા જજે કહ્યું મને આ મામલે કોઈ દમ નથી અને રાજપાલના વકીલે કોર્ટમાં સ્વીકાર કર્યો કે જો મધ્યસ્થતાનો અવસર મળશે તો તેઓ રકમ ચૂકવવા માટે તૈયાર છે. કોર્ટે આદેશમાં આન ઉલ્લેખ પણ કર્યો હતો. એટલાં માટે મામલો અત્યારસુધી ચાલી રહ્યો છે. તાજેતરના ઘટનાક્રમમાં રાજપાલ તરફથી કોર્ટને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓની દલીલો પણ સાંભળવામાં આવે અને આ મામલો યોગ્યતાના આધારે ઉકેલવો જોઈએ.


