Get The App

ચટણી-રોટી ખાઈને દિવસો વીતાવ્યા, 20 વર્ષ સુધી ઘરે ન ગયા...: 'પંચાયત'ના 'પ્રધાનજી'નો સંઘર્ષ

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
ચટણી-રોટી ખાઈને દિવસો વીતાવ્યા, 20 વર્ષ સુધી ઘરે ન ગયા...: 'પંચાયત'ના 'પ્રધાનજી'નો સંઘર્ષ 1 - image

Raghubir Yadav on His Struggle: રૂપેરી પડદા પર કે વેબ સિરીઝમાં પોતાના પાત્રને જીવંત કરી દેનારા કલાકારો બહુ જૂજ હોય છે. અભિનેતા રઘુબીર યાદવ એવા જ એક વિલક્ષણ અને સદાબહાર કલાકાર છે. ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય વેબ સિરીઝોમાની એક ‘પંચાયત’માં તેમણે ભજવેલું ‘પ્રધાનજી’ (બ્રિજભૂષણ શુક્લા)નું પાત્ર આજે દરેક ભારતીય દર્શકના દિલમાં વસી ગયું છે. તેમની સાદગી અને સ્વાભાવિક અભિનયના લોકો દીવાના છે. જોકે, આજે જે સફળતા અને ઓળખ રઘુબીર યાદવ પાસે છે, તેની પાછળ એક અત્યંત દર્દનાક અને સંઘર્ષમય કહાની છુપાયેલી છે. તાજેતરમાં જ તેમણે પોતાના જીવનના કેટલાક એવા પાના ખોલ્યા છે જેને સાંભળીને કોઈપણ ભાવુક થઈ જાય.

મેં મારી જિંદગીને ક્યારેય 'સંઘર્ષ' તરીકે નથી જોઈ: રઘુબીર યાદવ

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં રઘુબીર યાદવે પોતાના જૂના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, આજે ભલે કલાકારો ‘સંઘર્ષ’ શબ્દને ગ્લેમરાઈઝ કરીને રજૂ કરતા હોય, પરંતુ તેઓ આ પ્રક્રિયાને માત્ર એક સાધના માને છે.

તેમણે પોતાના મુશ્કેલ દિવસો વિશે વાત કરતા કહ્યું કે, "અભિનય કરવો એ કોઈ સરળ કામ નથી, પરંતુ તેમાં જ ખરો આનંદ છે. લોકો જેને સંઘર્ષ કહે છે, તેને મેં ક્યારેય એ નજરે જોયો જ નથી. મેં માત્ર ઈમાનદારીથી મહેનત કરી અને આ આખી સફરનો આનંદ માણ્યો. આજે પણ મને લાગે છે કે મારે ઘણું શીખવાનું બાકી છે. મારા માટે આ જિંદગી એક સ્કૂલ જેવી છે, જ્યાં દરરોજ કંઈક નવું શીખવા મળે છે."

પરીક્ષાના ડરથી ઘર છોડ્યું અને થિયેટરની સફર શરૂ થઈ

રઘુબીર યાદવના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે તેમનું આખું નસીબ બદલી નાખ્યું. તેમનો પરિવાર ઈચ્છતો હતો કે તેઓ સાયન્સમાં અભ્યાસ કરે અને કોઈ સુરક્ષિત નોકરી મેળવે. જોકે રઘુબીરજી જાણી ગયા હતા કે બોર્ડની પરીક્ષા પાસ કરવી તેમના બસની વાત નથી. નાપાસ થવાના અને પરિણામના ડરથી તેમણે પોતાના એક મિત્ર સાથે ઘર છોડી દીધું અને મધ્યપ્રદેશના લલિતપુર ભાગી આવ્યા.

લલિતપુરમાં તે સમયે જાણીતા કલાકાર અન્નુ કપૂરના પિતા મદનલાલ કપૂરની એક થિયેટર કંપની નાટક રજૂ કરી રહી હતી. રઘુબીર યાદવ આ થિયેટર કંપનીમાં જોડાઈ ગયા અને અહીંથી જ તેમના અભિનયના ક્લાસ શરૂ થયા.

રોજના ₹2.50નો પગાર અને ચટણી-રોટીનો ગુજારો

થિયેટર કંપનીમાં રઘુબીર યાદવને દૈનિક માત્ર અઢી રૂપિયા (Rs 2.50)ના પગારે રાખવામાં આવ્યા હતા. આ નાનકડી રકમ પણ ક્યારેય સમયસર કે પૂરેપૂરી મળતી નહોતી.

તેમણે તે ભયાનક દિવસો યાદ કરતાં જણાવ્યું કે, ”અમને રોજના અઢી રૂપિયા મળતા, પણ ઘણીવાર કંપની પાસે પૈસા ન હોય તો તેનાથી પણ ઓછી રકમ મળતી. અમે એ પૈસામાંથી થોડો લોટ અને ટામેટાં ખરીદતા અને માત્ર રોટલી તથા ટામેટાની ચટણી બનાવીને દિવસો પસાર કરતા હતા. ઘણીવાર એવું પણ બનતું કે અમે બનાવેલી રસોઈ કે લોટ કોઈ ચોરી જતું, ત્યારે અમારે આખો દિવસ ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું હતું."

આ જ કપરા સમયમાં તેમણે હિન્દી-ઉર્દૂ ભાષા પર પકડ મજબૂત કરી, પોતાના ઉચ્ચારો સુધાર્યા અને સંગીત શીખ્યા. પોતાને સંપૂર્ણપણે થિયેટરને સમર્પિત કરી દીધા.

આ પણ વાંચો: ફિલ્મ 'ધમાલ 4' માટે અજય દેવગન કેમ છે ટેન્શનમાં? રિલીઝ પહેલા કબૂલી આ વાત!

સગા-વ્હાલાના એક ટોણાએ 20 વર્ષ સુધી ગામથી દૂર રાખ્યા

ઘર છોડ્યા પછી રઘુબીર યાદવે પોતાના પિતાને પત્ર લખીને વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય પરિવારનું નામ ખરાબ નહીં કરે. આશરે છ મહિના પછી જ્યારે તેઓ થોડા દિવસો માટે પોતાના ગામ પરત ફર્યા, ત્યારે તેમના જ એક સંબંધીએ તેમને ટોણો મારતા કહ્યું, "અમને તો એમ હતું કે તું હવે સીધો ફિલ્મોના મોટા પડદા પર જ દેખાશે, આમ પાછો નહીં આવે."

આ કડવા શબ્દો રઘુબીર યાદવના દિલમાં વાગી ગયા. તેમને એટલી ગ્લાનિ અને શરમ અનુભવાઈ કે તેઓ તે જ રાત્રે કોઈને પણ કહ્યા વગર ફરીથી ઘર છોડીને ભાગી ગયા. આ જીદ અને આત્મસન્માન એટલું મજબૂત હતું કે ત્યારબાદ તેઓ સળંગ 20 વર્ષ સુધી પોતાના ગામ પાછા ફર્યા નહોતા.

આજે 'પંચાયત'ના 'પ્રધાનજી' તરીકે કરોડો લોકોના દિલ પર રાજ કરનાર રઘુબીર યાદવની આ સફર દરેક ઉગતા કલાકાર માટે પ્રેરણારૂપ છે કે સાચી સફળતા પાછળ વર્ષોનો ત્યાગ, ભૂખ અને અવિરત ધીરજ રહેલી હોય છે.