| (IMAGE - IANS) |
Mouni Roy and Suraj Nambiar Spark Divorce Rumors: લગ્નના ચાર વર્ષ બાદ અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નાંબિયારના સંબંધોમાં ખટરાગ હોવાની અફવાઓ ઓનલાઇન વહેતી થઈ છે. ફેન્સનું ધ્યાન ત્યારે ખેંચાયું જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ કપલે એકબીજાને અનફોલો કરી દીધા હોવાનું માલૂમ પડ્યું. જાન્યુઆરી 2022માં લગ્નગ્રંથિથી જોડાયા બાદ મૌની અને સૂરજ અવારનવાર એકબીજા પ્રત્યેનો પ્રેમ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા હતા, પરંતુ તાજેતરની આ હિલચાલને કારણે ફેન્સમાં અલગ થવાની ચિંતા વધી ગઈ છે. જોકે, હજુ પણ બંનેના પ્રોફાઇલ પર લગ્નની તસવીરો અને એકબીજા સાથેની જૂની પોસ્ટ જોવા મળી રહી છે. જોકે, લગ્નજીવનમાં ભંગાણની આ અફવાઓ પર મૌની કે સૂરજ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
દુબઈમાં મુલાકાત અને ગોવામાં કર્યા હતા લગ્ન
સૂરજ નાંબિયાર દુબઈ સ્થિત બિઝનેસમેન અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને તે બેંગલુરુના જૈન પરિવારમાંથી આવે છે. મૌની રોય અને સૂરજે જાન્યુઆરી 2022માં ગોવાના કેન્ડોલિમ ખાતે આવેલા હિલ્ટન ગોવા રિસોર્ટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેમના લગ્ન મલયાલી અને બંગાળી બંને પરંપરાઓ મુજબ થયા હતા. તે સમયે મૌનીએ ભાવુક પોસ્ટ લખી હતી કે, 'અંતે મને તે મળી ગયો છે,' જ્યારે સૂરજે પોતાની જાતને દુનિયાનો સૌથી નસીબદાર માણસ ગણાવ્યો હતો.
આ પણ વાંચો: હિરો કરતાં હિરોઈનોને ઓછી ફીથી ક્રિતી સેનન નારાજ
મૌની રોયનું આગામી કામ: 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'
અંગત જીવનની ચર્ચાઓ વચ્ચે મૌની રોય હાલમાં તેની આગામી ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'ની રિલીઝની રાહ જોઈ રહી છે. ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. મૌની ઉપરાંત આ ફિલ્મમાં મનીષ પોલ, ચંકી પાંડે અને જીમી શેરગિલ જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ 5 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મની તારીખ મે મહિનામાં લંબાવવામાં આવી હતી, પરંતુ બાદમાં તેની મૂળ તારીખ પર જ રિલીઝ કરવાનું નક્કી કરાયું છે.


